અમદાવાદઃ લીલા શાકભાજીમાં ભીંડા એક એવું શાક છે, જે મોટાભાગના લોકોને પસંદ હોય જ છે. જોકે, તમને એ નહીં ખબર હોય કે ભીંડા સ્વાસ્થ્ય માટે કેટલાં ફાયદાકારક છે. ભીંડામાં વિટામિન્સ, મિનર્લ્સ તથા અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં રહે છે. આંખોની રોશની માટે ભીંડા ઘણાં જ લાભદાયી છે. આટલું જ નહીં તમે ભીંડાની મદદથી વજન પણ ઝડપથી ઉતારી શકો છો. આજે આપણે ભીંડા કેટલાં ગુણકારી છે, તે અંગે વાત કરીશું.
ભીંડા ખાવાથી વજન ઓછું થાય છે. એક વાટકી ભીંડામાં માત્ર 33 કેલરી હોય છે, જેથી વજન કંટ્રોલમાં રહે છે. ભીંડાનું પાણી બનાવીને પણ વજન ઝડપથી ઘટાડી શકાય છે. આમ કરવાથી મેટાબોલિઝ્મ તથા પાચનક્રિયા સ્ટ્રોંગ બને છે, જેને કારણે વજન કંટ્રોલમાં રહે છે.
ભીંડામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે. પેટ ફૂલવું, પેટમાં મરોડ આવવી, એસિડિટી-ડાયરિયા જેવી બીમારીથી બચી શકાય છે. ભીંડામાં લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે, જે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
ભીંડામાં એ તથા સી વિટામિન્સ ભરપૂર છે, જેને કારણે આંખોની રોશની સારી રહે છે. આ ઉપરાંત ભીંડામાં લ્યૂટિન, બીટા-કૈરોટીન જેવા એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. આને કારણે આંખોની બીમારીઓ થવાની શક્યતા ઓછી રહે છે.
ભીંડામાં પોટેશિયમ પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે શરીરમાં ફ્લૂઈડ સ્તરને બેલેન્સ કરે છે. બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં કરે છે. ભીંડાનું પાણી પીવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
કેવી રીતે બનાવવામાં આવે છે ભીંડાનું પાણી? ભીંડાનું પાણી બનાવવું ઘણું જ સરળ છે. રાત્રે ત્રણથી ચાર ભીંડા બરોબર ધોઈ નાખવા અને પછી બંને છેડેથી ડિંટીયા કાપી નાખવા. ત્યારબાદ ભીંડામાં ત્રણથી ચાર ઊભા કાપા પાડવા અને ત્રણ કપ પાણી લઈને તપેલીની અંદર મૂકી દેવા. બીજા દિવસે સવારે પાણીમાં રહેલા ભીંડાને નીચોવીને બહાર કાઢી લેવા અને જે પાણી છે, તેને નરણે કોઢે પી લેવું. આ પાણી ઘણું જ ફાયદાકારક છે.