મલ્લાડાઃ રાજસ્થાનના ઉદયપુરના મલ્લાડા ગામમાં રહેતી પરિણિતા રેખાએ તેમના પતિના ડરથી સાથળમાં સુસાઇડ નોટ લખી અને ઘરમાં જ ઝેર પીને આત્મહત્યા કરી લીધી. પરિવારને ઘટનાની જાણ થતાં તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવાામાં આવી પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થઇ ગયું. સાથળ પર લખેલી સુસાઇડ નોટમાં રેખાએ પતિ પર મારઝૂડ, માનસિક ત્રાસ સહિતના અનેક ગંભીર આરોપ લગાવ્યાં છે.
શા માટે પગ પર લખી સુસાઇડ નોટ? રેખાને શંકા હતી કે જો તે સુસાઇડ નોટ કાગળ પર લખશે તો તેનો પતિ ખેમરાજ તેને ફાડી નાખશે અને દુનિયાની સામે તેમના મોતનું સાચું કારણ નહીં આવે. આ કારણે તેમણે તેમના પગ પર જ સુસાઇડ નોટ લખી. જો કે આ સુસાઇડ નોટ વિશે તેના પતિ કે તેના પરિવારને જાણ ન હતી. જ્યારે પોલીસ મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવી રહી હતી. તે દરમિયાન જ તેમને આ સુસાઇડ નોટની જાણ થઇ, જેમાં મૃતક મહિલાએ તેમની પીડા વ્યક્ત કરી હતી.
દોઢ વર્ષ પહેલા થયા હતા લગ્નઃ રેખાના લગ્ન દોઢ વર્ષ પહેલા જ ખેમરાજ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ ખેમરાજે રેખાની સાથે મારઝૂડ કરવાનું અને તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આખરે પતિના અત્યાચારથી ત્રાસીને રેખાએ ઝેર પીને જિંદગી ટૂંકાવી લીધી. પિયર પક્ષના રિપોર્ટના આધારે પોલીસે ફરિયાદ નોધીને તપાસ હાથ ધરી છે.