અભણ લોકો તો અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાય પણ ડૉક્ટર તાંત્રિકના મોહમાં એવો ફસાયો કે…..
ઉત્તર પ્રદેશના મેરઠથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં અલાદિનના ચિરાગના નામે એક ડોક્ટર પાસેથી તાંત્રિકોએ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ડોક્ટરનો આક્ષેપ છે કે તાંત્રિકોએ બે વર્ષમાં તેમની પાસેથી લગભગ 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
વાસ્તવમાં, આ કેસ મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનનો છે, અહીં ખેર નગર અહેમદ રોડના રહેવાસી ડો.લઈક અહેમદે તાંત્રિક ઇકરામુદ્દીન, અનીસ અને એક મહિલા વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે. ડોક્ટરનો આરોપ છે કે ત્રણેયે ડોક્ટર ઉપર અને તેના પરિવાર પર તંત્ર મંત્રનો ઉપયોગ કર્યો હતો અને કરોડોની ઠગાઈ કરી હતી. એટલું જ નહીં, તાંત્રિકોએ ડોક્ટરને ચિરાગ આપ્યો, જેને અલાદિનનો ચિરાગ જણાવ્યો હતો.
તાંત્રિકોએ તેમને કહ્યું કે, આ ચિરાગથી તેઓ સમૃદ્ધ થઈ જશે. પરંતુ એવું ન થયુ, તો ડોક્ટરે આ તાંત્રિકો ઉપર આરોપ મૂક્યો કે તેઓ તેમની સાથે બે વર્ષથી છેતરપિંડી કરે છે. આરોપ છે કે અત્યાર સુધીમાં ડોક્ટર પાસેથી હપ્તામાં 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
ડોક્ટરનું એમ પણ કહેવું છે કે તાંત્રિકોએ તેમના મગજને સંપૂર્ણ કાબુમાં કર્યુ હતું. હાલમાં પોલીસે તંત્ર-મંત્રની મદદથી ડોક્ટર પાસેથી પૈસા પડાવનારા બે તાંત્રિકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે બંને તાંત્રિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે તેમની પાસેથી નકલી ચિરાગ, લાકડાના ચપ્પલ, નકલી પથ્થર અને 20 હજાર રૂપિયા કબજે કર્યા છે. ગેંગની મહિલા હજી ફરાર છે. પોલીસ પણ તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે.