વારંગલ (તેલંગાણા) : તેલંગાણાના વારંગલમાં એક કુવામાંથી 9 પ્રવાસી મજૂરોના મૃતદેહ મળવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. પોલીસનો દાવો છે કે પ્રેમ પ્રકરણના કારણે તેમની હત્યા કરવામાં આવી. હત્યાના મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી. આ તમામ લોકો બિહાર અને બંગાળના રહેવાસી હતા અને અહીં એક ફેક્ટ્રીમાં કામ કરતા હતા. જે 9 લોકોના મૃતદેહ મળ્યા તેમાં 1 બાળક અને 1 મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, મોહમ્મદ મક્સૂદ આલમ અને તેના પરિવારના 4 સભ્યોના મૃતદેહ 21મેના કુવામાંથી મળ્યા હતા. જેના આગામી દિવસે પોલીસે 4 અન્ય મૃતદેહ કુવામાંથી નીકાળ્યા હતા.
પોલીસે ઉકેલ્યું 9 મૃતદેહો પાછળનું રહસ્ય
પોલીસે જણાવ્યું કે, મકસૂદ બંગાળનો હતો. તે પોતાની પત્ની, દીકરી અને 3 વર્ષના પૌત્ર અને 2 પુત્રો સાથે રહેતો હતો. આ લોકોના મૃતદેહ ઉપરાંત પોલીસને ત્રિપુરાના શકીલ અહમદ અને બિહારના શ્રીરામ અને શ્યામની લાશો પણ મળી હતી. તમામ એક ફેક્ટરીમાં કામ કરતા હતા.
પોલીસે જણાવ્યું કે, સંજય કુમારને મકસૂદની પુત્રી બુશરા સાથે આડા સંબંધ હતા. જેના છુટાછેટા થઈ ગયા હતા અને 3 વર્ષના બાળકની માતા હતી. પણ છેલ્લાં કેટલાક સમયથી બુશરા બે અન્ય બિહારી યુવક શ્રીરામ કુમાર અને શ્યામ કુમાર સાથે વધારે હળતી મળતી હતી. જે મકસૂક સાથે જ કામ કરતા હતા. બુશરાના બદલાયેલા વલણના કારણે ગુસ્સામાં સંજય કુમારે ષડયંત્ર રડી મકસૂદના આખા પરિવાર અને બંને બિહારી યુવકોની પણ હત્યા કરી નાંખી હતી.
આ રીતે કરી હત્યા
સંજયે આ લોકોની હત્યા મકસૂદના દીકરાની જન્મદિવસની ઉજવણીની પાર્ટીમાં કરી. પહેલા કોલ્ડડ્રિંક્સમાં નશીલી દવા નાંખી તમામને બેભાન કર્યા. જે પછી તમામને ઉપાડી કુવામાં ફેંકી દીધા.
સંજય બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે વધુ 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના વારંગલના ગ્રામિણ વિસ્તારની છે. પોલીસને જાણ થઈ કે ગીસુગોંડા મંડલના ગોર્ટેકુંટા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં બનેલા કુવામાં પ્રવાસી મજૂરોના મૃતદેહો પડ્યા છે. આ તમામ મજૂરો ફાઈબરની એક કંપનીમાં કામ કરતા હતા.