ચંદીગઢઃ સમગ્ર દેશમાં જ્યારે કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના દર્દીનો કુલ આંક 12,000થી પણ વધુ છે અને 400થી વધુ લોકોએ તો આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. જોકે ડોકટરોનું કહેવું એવું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી જો તમને કોરોના થાય તો બસ ખાલી હિમ્મત રાખજો, તમે સજા થઇ જશો. આવું જ કંઇક હરિયાણાના બે માસૂમ ભાઈ બહેને કરી બતાવ્યું છે. કોરોનાને હરાવી ને 15 દિવસ સુધી સારવાર લીધા બાદ તેઓ પરત ઘરે ફર્યા છે.
મંગળવારે (14 એપ્રિલ) સીરસાના બે બાળકો 8 વર્ષના તારૂષ અને 5 વર્ષની અનાયાએ કોરોનાને હરાવી દીધો છે. આ બાળકો છેલ્લા 15 દિવસથી સીરસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, આ ભાઈ બહેનની માતા પણ 30 માર્ચે કોરોનાના સંક્રમણની શિકાર થઇ હતી, જે વ્યવસાયથી સીરસામાં એક પી.જી ચલાવે છે માતા પછી બાળકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, જોકે, તેના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
જ્યારે તારૂષ અને અનાયાને રજા આપવામાં આવી તો ત્યાં હાજર ડોક્ટરો અને નર્સોએ તાળી વગાડી આ બાળકોનો ઉત્સાહ વધાર્યો અને તેમને ગિફ્ટ પણ આપી, તેઓ તેમના પિતા અમિત મક્કડ જોડે ઘરે ગયા અને સૌથી પહેલા દાદા-દાદીને જઈને ગળે વળગી ગયા. માતા હજી સારવાર હેઠળ હોવાથી માતાને મળી શક્યા નહીં. જોકે માતા જોડે વીડિયો કોલ દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો પણ નેટવર્ક પ્રોબ્લેમના લીધે વાત ના થઈ શકી, આથી આ બાળકોની માતા દુઃખી થઈ ગઈ અને હોસ્પિટલ પ્રશાસન સમક્ષ એકવાર બાળકોનો ચહેરો જોવા માટે આજીજી કરવા લાગી.
જ્યારે આ ભાઈ બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે હોસ્પિટલમાં સમય પસાર કરવા માટે આ બાળકોના પિતાએ તેમને મોબાઈલ ફોન આપ્યા હતા, જેમાં કેન્ડી ક્રસ રમી રમી ને તેમણે સમય પસાર કર્યો હતો અને કોરોનાને હરાવ્યો હતો આ દરમ્યાન તેઓ માતા અને દાદા દાદી સાથે વીડિયો કોલથી સંપર્કમાં પણ હતા.
મીડિયા સાથે જ્યારે આ બાળકે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે મમ્મી જોડે આજે ફોન ઉપર વાત થઈ હતી મમ્મીએ કીધું છે કે એ પણ બે દિવસમાં સ્વસ્થ થઈને ઘરે આવી જશે.
જ્યારે બંને બાળકો ઘરે આવ્યા ત્યારે સોસાયટીમાં પણ આ રીતે તાળીઓ પાડીને બંને માસૂમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.