છત્તીસગઢના રાયપુરમાં ડીડી નગર થાના ક્ષેત્રના સુંદર નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપમાંથી મંગળવાર 23 તારીખે પેટ્રોલની જગ્યાએ પાણી નિકળવા લાગ્યું. આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે જે લોકોએ અહીંથી પેટ્રોલ ભરાવ્યું ત્યાંથી વાહન બંધ થવા લાગ્યા. બાદમાં ગુસ્સે થયેલા લોકો પેટ્રોલ પંપ પહોંચી ગયા અને ખુબ હોબાળો મચાવ્યો. સ્થિતિ વણસી જતા પોલીસ બોલાવવી પડી. પોતાની ભૂલ સ્વીકારી પેટ્રોલ પંપ તરફથી લોકોને તેમના પૈસા પરત આપવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે સુંદરનગરમાં ભારત પેટ્રોલ પંપ છે. અહીં મંગળવાર 23 જુને સવારે લોકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. લોકોનો આરોપ હતો કે પેટ્રોલની જગ્યાએ તેમના વાહનમાં પાણી નાખવામાં આવ્યું. ગ્રાહકોએ આરોપ લગાવ્યો કે પેટ્રોલ ભરાવ્યા બાદ જ્યારે તેમનું વાહન આગળ જઇને બંધ થવા લાગ્યું તો મેકેનિક પાસે ગયા જ્યાં ચેક કરતાં જાણવા મળ્યું કે ટાંકીમાં પાણી છે જે એન્જિન સુધી પહોંચી ગયું છે.
એક પછી એક અનેક લોહો એક જ પ્રકારની ફરિયાદ લઇને પેટ્રોલ પંપ પહોંચ્યા. અનેક લોકોની ફરિયાદ બાદ પંપના મેનેજરે ચેક કર્યું તો પંપની ટેન્કમાં પેટ્રોલની જગ્યાએ પાણી નિકળ્યું હતું.
ખુદ મેનેજર દ્વારા ચેક કરતાં ભૂલ સામે આવી જતા લોકોએ વધુ હોબાળો મચાવ્યો. મામલો વણસી જતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સમક્ષ લોકોએ જણાવ્યું કે આ પેટ્રોલ પંપ પર બે વર્ષ પહેલા પણ આ પ્રકારની ફરિયાદ સામે આવી હતી. જો કે હાલ ગ્રાહકોને પેટ્રોલ પંપ તરફથી પૈસા પરત આપી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
પેટ્રોલ પંપના મેનેજર અનિલ અગ્રવાલે જણાવ્યું કે સવારે કર્મચારીઓએ પેટ્રોલ ટેન્કની ડેન્સિટી ચેક કરી હતી એ સમયે પાણી ની માત્રા સામે આવી ન હતી.
ત્યારબાદ અંદાજે બે-ત્રણ કલાક બાદ કેટલાક લોકો પેટ્રોલની જગ્યાએ પાણી મળ્યું હોવાની ફરિયાદ લઇને આવ્યા.
ફરી પેટ્રોલ ટેન્કમાં ચેક કરવામાં આવ્યું તો તેમાં પાણીની માત્રા વધુ મળી આવી. તેઓએ કહ્યું કે ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ટાંકમાં પાણી ગયું છે. ગ્રાહકોને પૈસા પરત આપવામાં આવ્યા છે.