પુનાઃ કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકારને ખૂબજ મહેનત કરવી પડી રહી છે. બે વાર લોકડાઉન લગાવ્યું. પરંતુ સમસ્યા એ છે કે, લોકો આ સંક્રમણને ગંભીરતાથી લેતા નથી. લોકો જાણે છે કે, સંક્રમણથી બચવું હોય તો, સ્થિતિ બરાબર ના થાય ત્યાં સુધી ઘરમાં રહેવું જરૂરી છે, છતાં બહાર નીકળી પડે છે. પોલીસ આવા લોકોને સમજાવવા શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહી છે. કેસ કરી રહી છે, લાકડી ફટકારે છે અને બરાબર સમજાવે છે.
હવે પુના પોલીસે એક નવો ઉપાય શોધ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના બાબતે સ્થિતિ બહુ ખરાબ છે. અહીં અત્યાર સુધીમાં 4676 કરતાં વધારે કેસ મળી ચૂક્યા છે. મુંબઈ અને પુનાને હાઈ રેડ ઝોન જાહેર કરી સરકારે અહીં કર્ફ્યૂ લગાવ્યો છે. પરંતુ કેટલાક લોકો હજી રસ્તાઓ પર નીકળી પડે છે.
આરતી ઉતારી પાડ્યો શરમમાં: મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે 232 લોકોનાં મૄત્યુ નીપજી ચૂક્યાં છે. આ જોતાં લોકો ઘરમાં જ રહે અને પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એ માટે પોલીસને બહુ મહેનત કરવી પડે છે. પુનામાં મંગળવારે (21 એપ્રિલ) પોલીસે કર્ફ્યૂનું ઉલ્લંઘન કરનાર લોકોને ઉઠક-બેઠક કરાવી.
તો કેટલીક જગ્યાઓએ મહિલા પોલીસ કર્મીઓએ આરતી ઉતારી. આ દરમિયાન એક મહિલા પોલીસ કર્મી આરતી ઉતારવા લાગી તો બીજા કર્મીઓ ભજન ગાવા લાગ્યા. આ જોઇ સામેની વ્યક્તિ માફી માગવા લાગ્યો.
આ દરમિયાન બારામતી વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને પોલીસે ઉઠક-બેઠક કરાવી. યોગા પણ કરાવ્યા. પછી બધાંએ માફી માંગી, ત્યારે છોડી મૂક્યા. પુનામાં 27 એપ્રિલ સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.