વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા હાજર રહ્યા હતા. થોડા સમય બાદ વડાપ્રધાન ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
શંકરસિંહ વાઘેલા સાથે પણ વડાપ્રધાને બેઠક યોજી હતી. જેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી હતી. ત્યારે બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારે આ બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ એક ઔપચારિક મુલાકાત હતી. તેમજ તેઓનાં પુત્રના લગ્ન હોવાથી આમંત્રણ આપ્યું હતું.
ત્યારે મળતી માહિતી મુજબ બુધવારના રાત્રે ગુજરાત આવ્યા બાદ વડાપ્રધાન રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓને મળવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક સુધી લાંબી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાને તેમજ શંકરસિંહ વાઘેલાએ જુની વાતો થોડી તાજી કરી હતી.
તેમજ શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનને હિરાબા સાથેનાં એક ફોટાને ગોલ્ડ ફ્રેમમાં વડાપ્રધાનને ભેટ આપ્યો હતો. ત્યારે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનાં લગ્નનનો પ્રસંગ હોઈ વડાપ્રધાનને આમંત્રણ પત્રિકા આપી હતી. તેમજ પીએમને હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો. તેમજ જૂની રાજકીય પરિસ્થિતિ અને અત્યારનુ પરિસ્થિતિની સામાન્ય ચર્ચા કર્યા બાદ તેઓ પોતાનાં ઘરે જવા નીકળ્યા હતા.