યોગગુરુ બાબા રામદેવે મંગળવારે દાવો કર્યો હતો કે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિયૂટે કોરોનાની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’ બનાવી છે. બાબા રામદેવે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કોરોનાના દર્દીઓ પર ડ્રગ ટ્રાયલ કરવામાં આવ્યુ છે. ટ્રાયલમાં સામે આવ્યુ છેકે, 69% કોરોનાના દર્દીઓ 3 દિવસમાં સાજા થયા છે. જ્યારે, દવાને 7 દિવસ આપવા પર 100 ટકા રિકવરી રેટ મળ્યો છે. પતંજલિએ ત્રણ દવાઓની કીટ લોન્ચ કરી છે. જેમાં કોરોનિલ, અણુ તેલ અને શ્વાસારિ વટી છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં આ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે પતંજલિએ અમને આ ડ્રગ વિશે માહિતી આપવી જોઈએ અને અમારી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો પ્રચાર અને જાહેરાત ન કરવી.
આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટર પર લખ્યું કે, ટ્રાયલમાં એક પણ મોત નથી થયું
પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ મંગળવારે રાત્રે ટ્વિટ દ્વારા માહિતી આપી હતી. આચાર્ય બાલકૃષ્ણએ લખ્યું, અમે આયુષ મંત્રાલયને ટ્રાયલના 100% નિયમોને અનુસરીને માહિતી આપી છે. આચાર્યએ પોતાના ટ્વીટમાં આયુર્વેદિક દવા બનાવવાની સંપૂર્ણ કહાની આપી છે. તેમણે લખ્યું, આયુર્વેદિક દવાનો ટ્રાયલ કરવામાં આવ્યુ છે. દવા આપ્યા પછી 3 થી 15 દિવસ પછી કોરોના દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. ટ્રાયલ સાથે સંકળાયેલા કોઈ પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું.
આયુર્વેદિક દવામાં રહેલું તત્ત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, દવા પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને તૈયાર કરવા માટે, દિવ્ય શ્વાસારી વટી, ગિલોય ઘનવટી, તુલસી ઘનવટી અને પતંજલિ અશ્વગંધા કેપ્સ્યુલ્સની સાથે અણુ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં ફાયટોકેમિકલ અને જરૂરી ખનિજ તત્વો હોય છે જે કોરોનાનાં લક્ષણોની સારવાર કરવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
ક્લિનિકલ ટ્રાયલમાં શામેલ દવાઓ, કોરોના ચેપની સાંકળને તોડે છે
આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ આયુર્વેદિક દવાઓ માણસનાં ફેંફ્સાથી લઈને રોગો સામે લડવાની ક્ષમતા એટલેકે ઈમ્યુનિટીને વધારે છે. આ કોરોના ચેપની સાંકળ તોડે છે. જ્યારે કોરોના શરીરમાં પહોંચે છે અને તેની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરે છે, ત્યારે આ દવાઓ તેને અટકાવે છે. ચેપને નિયંત્રિત કરવાથી કોરોના દૂર થાય છે.
આ દવાઓ તરત જ કોરોનાવાયરસથી શરીરમાં થતી સમસ્યાઓ અને લક્ષણોને અસર કરે છે. શરદી, ખાંસી, તાવ, ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફ થવા પર આ દવાઓ અસર દેખાડે છે. કોરોના ચેપને દવા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે.
જર્નલમાં રિસર્ચ પ્રકાશિત કરવાની તૈયારી
ટ્વિટ મુજબ, આ ડ્રગનું ટ્રાયલ દિલ્હી, અમદાવાદ અને મેરઠ સહિત દેશના ઘણા શહેરોમાં કરવામાં આવ્યો છે. આ દવા પતંજલિ અને રાજસ્થાનની નિમ્સ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે. જર્નલમાં રિસર્ચ પ્રકાશિત કરવાની તૈયારીઓ થઈ રહી છે. ટૂંક સમયમાં, રિસર્ચ માહિતી પતંજલિની વેબસાઇટ પર વિગતવાર મળી આવશે.