નવી દિલ્હી: પીએમ મોદીના સંબોધન બાદ બુધવારે (13 મે) નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ અંગે વિસ્તૃત જાહેરાત કરી. પીએમ મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત’ પેકેજ નામ આપ્યું છે. તેમણે કહ્યું, આ પેકેજમાં દરેક વર્ગને સ્થાન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે એક વ્યક્તિને આ પેકેજની જાહેરાતથી શું ફાયદા થશે.
વાસ્તવમાં માર્ચમાં સરકારે 15 હજારથી ઓછી આવકવાળા કર્મચારીઓના પીએફ અકાઉન્ટમાં એમ્પલૉયી અને એમ્પલૉયર બંનેના ભાગના 12-12 ટકા રકમ જમા કરાવવાની જાહેરાત કરી હતી. કોરોના સંકટના કારણે સરકાર માર્ચથી આ રકમ નાખી રહી છે અને હવે ઓગસ્ટ સુધી આ યોગદાન આપવાની જાહેરાત કરી છે. એટલે કે કર્મચારીઓના પીએફ ખાતામાં 6 મહિના સુધી સરકાર પૈસા જમા કરાવશે. આ દરમિયાન જેમની સેલેરી 15 હજાર રૂપિયાથી વધુ છે તેમને નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે એક મોટી રાહત આપી હતી, જેના કારણે હવે તેમની ઈન હેન્ડ સેલેરી વધીને આવશે.
નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે, એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડમાં યોગદાનને 12 ટકાથી ઘટાડી 10 ટકા કરી દેવાયું છે. આ ફેરફાર અગાઉ તમામ કર્મચારીના (બેઝિક+ડીએ)થી 12 ટકા પીએફ રકમ તરીકે કાપવામાં આવતી હતી અને બીજા 12 ટકા એમ્પલૉયર તરફથી જમા કરાવવામાં આવતા હતા. પરંતુ હવે આગામી 3 મહિના સુધી 12 ટકાના સ્થાને 10 ટકા રકમ એમ્પલોઈ અને એમ્પલૉયર તરફથી પીએફમાં જમા થશે એટલે 2-2 ટકા પીએફની રકમ ઓછી કપાશે, જેથી દરેક કર્મચારીને 4 ટકા જેટલી પીએફવાળી રકમ સેલેરીમાં વધીને આવશે. સરકારના જણાવ્યાં અનુસાર, ઓગસ્ટ સુધી ‘ઈન હેન્ડ’ સેલેરી વધીને મળશે. જોકે કેન્દ્રીય કર્મચારીઓને આ લાભ નહીં મળે. તેમનું યોગદાન 12 ટકા જ રહેશે.
હવે એ જાણી કે કર્મચારીઓના પીએફની રકમ ઓછી કપાતા કેટલી બચત થશે. માનો કે કોઈ વ્યક્તિની સેલેરી 50 હજાર છે અને ઈન હેન્ડ સેલેરી અંદાજે 45 હજાર છે, 50 હજાર રૂપિયાની CTC પર (બેઝિક+ડીએ) અંદાજે 16 હજાર થાય છે. આ પ્રમાણે કર્મચારીની સેલેરીથી 12 ટકા એટલે 1920 રૂપિયા પીએફ ખાતામાં ટ્રાન્સફર થાય છે. બીજી તરફ આટલી જ રકમ એમ્પલૉયર પણ પીએફ એકાઉન્ટમાં જમા કરાવે છે. આ આંકડા 12 ટકા પીએફના આધારે કાઢવામાં આવ્યા છે.
હવે આગામી 3 મહિના સુધી કર્મચારીઓનો 10 ટકા પીએફ કપાશે, એટલે 50 હજાર સેલેરીવાળા કર્મચારીને અંદાજે (320+320) એટલે 640 રૂપિયાની બચત થશે. કારણ કે એમ્પલોઈ અને એમ્પલૉયર બંને 2-2 ટકા ઓછું પીએફ કાપશે. એટલે આગામી સેલેરી ઈન હેન્ડ 45 હજાર 640 રૂપિયા મળશે. જોકે તેના કારણે પીએફમાં કોન્ટ્રીબ્યૂશન ઓછું થઈ જશે. પરંતુ અમુક કંપનીઓ એમ્પલૉયરના ભાગની પીએફ રકમ પણ કોસ્ટ ટૂ કંપની (સીટીસી)માં જોડે છે, જ્યારે અમુક કંપની અલગથી યોગદાન આપે છે.
એવામાં જે કંપનીઓ અલગથી પીએફ ફંડમાં યોગદાન આપે છે ત્યારે શું તેઓ સરકાર તરફથી મળનારા ફાયદાને કર્મચારીઓને સેલેરીમાં આપશે કે પછી પોતાની પાસે રાખશે. જો કંપની આ ફાયદો પોતાની પાસે રાખે તો પછી કર્મચારીઓને આ ફેરફારથી માત્ર 320 રૂપિયાનો ફાયદો મળશે.
આ નુકસાન પણ થશેઃ આ જાહેરાતથી 6750 કરોડ રૂપિયાનું લિક્વિડિટી સપોર્ટ આગામી 3 મહિના દરમિયાન મળશે. જોકે કર્મચારીઓને એક નુકસાન પણ થશે, તેમને પીએફની રકમ પર 80c હેઠળ ઈન્કમ ટેક્સમાં છૂટ મળે છે. એવામાં ઈન હેન્ડ સેલેરી વધુ આવવા પર ટેક્સ પણ વધુ આપવો પડી શકે છે. કારણ કે માત્ર પીએફ પર ટેક્સ છૂટ મળે છે.