Only Gujarat

FEATURED International

પાકિસ્તાનમાં આવેલા આ શક્તિપીઠમાં માતાજીના પરચા છે અપાર, દૂર દૂરથી લોકો આવે છે દર્શને

નવરાત્રી પર વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસની અસર થઈ હોવા છતાં પણ લોકોમાં ઉત્સાહ ઓછો થયો નથી. તમામ પ્રકારની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને દેવી માતાની પૂજા કરવામાં આવી રહી છે. ભારતમાં દેવીના ઘણા પ્રખ્યાત અને સિદ્ધ શક્તિપીઠો છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, પાકિસ્તાનમાં પણ દેવીનું શક્તિપીઠ છે. આ મંદિરમાં માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમ લોકો પણ શીશ નમાવે છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત આ પવિત્ર મંદિર હિંગળાજ માતાના મંદિર તરીકે ઓળખાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન શિવએ માતા સતીના શબને તેમના ખોળામાં લીધું હતુ, ત્યારે ભગવાન વિષ્ણુએ સતી માતાનું માથું કાપવા માટે ચક્ર ફેંક્યુ હતુ. તે ચક્રએ સીધા જઈને સતી માતાનું માથું કાપ્યુ હતુ.

માતા સતીનું માથું કપાયા બાદ સીધું નીચે આવીને પૃથ્વી પર પડ્યું. એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર માતાનું માથુ આ સ્થાન પર પડ્યું. પાછળથી તે હિંગળાજ માતા મંદિર તરીકે જાણીતું બન્યું.

હિંગળાજ મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાનથી 120 કિલોમીટર દૂર હિંગુલ નદીના કાંઠે સ્થિત છે. દેવીના કુલ 51 શક્તિપીઠોમાં આ સ્થાનનું નામ પણ શામેલ છે. પાકિસ્તાનના ભાગલા પહેલા ભારતની પશ્ચિમ સરહદ અફઘાનિસ્તાન અને ઈરાન સુધીની હતી. તે સમયે હિંગળાજ મંદિર હિન્દુઓનું એક મુખ્ય તીર્થસ્થાન હતું.

બલુચિસ્તાનના મુસ્લિમો પણ હિંગળા દેવીની પૂજા કરતા હતા. મુસ્લિમ સમુદાયના લોકો હિંગળાજ માતાને નાની કહીને લાલ કપડા, ધૂપ, લાકડી, મીણબત્તીઓ, અત્તર અને સિરની ચડાવતા હતા.

હિન્દુઓ માટે શક્તિપીઠ હોવાની સાથે સાથે, આ સ્થાન મુસલમાનો માટે આ ‘નાના પીર’નું સ્થાન છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન મેળો ભરાય છે, જે હજારો હિન્દુઓ અને મુસ્લિમોને આકર્ષે છે.

આ મંદિરમાં સિંધી સમુદાયના લોકોનો ભારે વિશ્વાસ છે. હિંગળાજ માતાનું મંદિર એક નાનકડી ગુફામાં બનાવવામાં આવ્યું છે, જેમાં નાના આકારની શિલાને હિંગળાજ માતાનાં રૂપમાં પૂજવામાં આવે છે.

You cannot copy content of this page