લો બોલો, ચોરે મોબાઈલની ચોરી કરી પછી તેમાંથી પાંચ પરિચીત લોકોને મોકલ્યા મેસેજ પછી…..
ચોર માત્ર ચોરી નથી કરતા અમુક વિચિત્ર હરકતો પણ કરતા હોય છે અને આવા જ એક સનકી ચોરની કરતૂત અમદાવાદમાં સામે આવી છે. કલોલ પાસે એક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલાના ઘરમાંથી મોબાઈલની ચોરી થઈ. મહિલા તેમના પતિ સાથે ઘરમાં મોડી રાત સુધી ટીવી જોઈ રહ્યાં હતા. તેમને ખ્યાલ જ ન રહ્યો કે ઘરનો દરવાજો ખુલ્લો છે.
જોકે આ તકનો લાભ કોઈ ગઠિયો મોબાઈલ ચોરી ગયો. પણ વાત આટલેથી અટકતી નથી. ચોરે મહિલાના મોબાઈલના વ્હોટ્સ એપ નંબર પરથી પાંચ લોકોને બીભત્સ સંદેશાઓ મોકલ્યા. જેને લઈને મામલો નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આ વિચિત્ર બનાવમાં એવું બન્યું કે અમદાવાદના નારોલની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રંજીતાબેન પરમાર નિત્યક્રમ મુજબ પરિવાર સાથે મીઠી નિંદર માણી રહ્યા હતા. જો કે સુતા પહેલા તેઓ તેમના પતિ સાથે ટીવી જોઈ રહ્યા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હતો. સુવા જતા પહેલા રંજીતાબેનના પતિએ દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ તે પહેલા કોઈ શખ્સ ઘરમાં દાખલ થયો હતો અને ત્યાં નજીકમાં પડેલો મોબાઈલ તેમને ખબર ન પડે તે રીતે ઉઠાવીને ફરાર થઈ ગયો હતો.
રાત્રે પાણી પીવા રંજીતાબેન ઉઠ્યા ત્યારે તેમને યાદ આવ્યું કે તેમનો ફોન તો ચાર્જમાં મુકેલો છે.જેથી તેઓ તેને લેવા માટે ગયા તો ફોન મળ્યો નહોતો. વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે માત્ર ફોન જ નહીં, 21,600 રૂપિયા રોકડાની પણ ચોરી થઈ છે. જો કે સમયના અભાવે તેમણે આ ચોરી અંગે પોલીસ ફરિયાદ કરી નહોતી.
પરંતુ બે દિવસ બાદ જ્યારે તેઓ કલોલ નજીક પાનસર પાસે આવેલી તેમની નર્સિંગ કોલેજમાં ફરજ પર હતા તે સમયે જાણ થઈ કે તેમના ફોનનો કોઈ દુરુપયોગ કરી રહ્યું છે. ચોરે તેમના વ્હોટ્સ એપ નંબર પરથી પાંચ લોકોને બીભત્સ મેસેજ મોકલ્યા હતા.
જેના સ્ક્રીનશોટ સાથે રંજીતાબેન પહોંચ્યા નારોલ પોલીસ સ્ટેશને અને વિકૃત હરકત કરનાર ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેને લઈ હાલ સાયબર ક્રાઈમ સેલ તપાસ કરી રહ્યુ છે. આ ચોરનો ઈરાદો માત્ર ચોરી કરવાનો જ હતો કે પછી લોકોને હેરાન કરવાનો વિકૃત શોખ છે તે તો પકડાય પછી જ ખબર પડી શકે છે.