અમદાવાદઃ એ તો તમને જરુરથી ખબર હશે કે મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણે જ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ આજે પણ મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા અનેક એવા રહસ્યો છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આવા જ કેટલાક રહસ્યો પરથી આજે અમે પડદો ઉઠાવવા જઈ રહ્યા છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મહાભારતનું યુદ્ધ આખરે કુરુક્ષેત્રમાં જ કેમ થયું, બીજે ક્યાંય કેમ નહીં?
મહાભારતનું યુદ્ધ સંસારનું સૌથી ભીષણ યુદ્ધ હતું. કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા આ યુદ્ધમાં બંને તરફથી કરોડો યૌદ્ધાઓ માર્યા ગયા હતા. મહાભારતના યુદ્ધ પહેલા આવું યુદ્ધ ના તો ક્યારેય પહેલા થયું હતું કે ના તો ભવિષ્યમાં થાય તેવી સંભાવના છે.
કુરુક્ષેત્રની ધરતીને મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ જ પસંદ કરી હતી, પરંતુ તેમણે કુરુક્ષેત્રને જ શા માટે મહાભારતના યુદ્ધ માટે પસંદ કરી તેની પાછળ પણ કારણ છે. શાસ્ત્રોના પ્રમાણે, મહાભારતનું યુદ્ધ જ્યારે નક્કી થઈ ગયું ત્યારે તેના માટે જમીનની શોધ ચાલી. ભગવાન શ્રીકૃષ્ણ આ યુદ્ધના માધ્યમથી ધરતી પર વધતા જતા પાપનો નાશ કરવા માંગતા હતા અને ધર્મની સ્થાપના કરવા માંગતા હતા.
માન્યતાઓના પ્રમાણે, શ્રીકૃષ્ણને મહાભારત પહેલા ડર હતો કે ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય, સગા સંબંધીઓને યુદ્ધમાં મરતા જોઈને કૌરવો અને પાંડવો સંધિ ના કરી લે. આ કારણે તેમણે યુદ્ધ માટે એવી ભૂમિ પસંદ કરવાનો નિર્ણય કર્યો, જેમાં ક્રોધ અને દ્વેષ પર્યાપ્ત માત્રામાં હોય. શ્રીકૃષ્ણે આ કામ માટે પોતાના દૂતોને તમામ દિશાઓમાં મોકલ્યા અને ત્યાંની ઘટનાઓનું નિરીક્ષણ કરવાનું કહ્યું.
દૂતોએ તમામ ઘટનાઓની સમીક્ષા કરી અને એક-એક કરીને ભગવાનને તેના વિશે જણાવ્યું. તેમાંથી એક દૂતે કહ્યું કે કુરુક્ષેત્રમાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈના ખેતરનો પાળો તૂટતા વહી રહેલા વરસાદના પાણીને રોકવા કહ્યું, પરંતુ તેણે તેમ કરવાની સાફ ના પાડી દીધી. જેના પર મોટા ભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે નાના ભાઈને છરાથી હુમલો કરી મારી નાખ્યો અને તેની લાશને ઘસેડીને પાળામાંથી જ્યાં પાણી નિકળતું હતું તેને રોકવા માટે લગાવી દીધી.
શ્રીકૃષ્ણે જ્યારે આ ઘટના વિશે સાંભળ્યું ત્યારે તેમણે નક્કી કર્યું કે આ ધરતી ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય અને સગા-સંબંધીઓના યુદ્ધ માટે યોગ્ય છે. કુરુક્ષેત્રની ધરતીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ બિલકુલ નિશ્ચિંત થઈ ગયા કે અહીં ભાઈઓ વચ્ચે યુદ્ધ દરમિયાન એકબીજા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન નહીં થવા દે, જે બાદ તેમણે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં કરાવવાનું એલાન કર્યું.