અમદાવાદઃ કોરોનાને કારણે વિશ્વ તથા ભારતને આર્થિક રીતે ઘણો જ મોટો ફટકો પડ્યો છે. આ વાઈરસે આર્થિક રીતે દેશ તથા સામાન્ય લોકોની કમર ભાંગી નાખી છે. જોકે, કેટલાંક બિઝનેસમેનની સંપત્તિમાં સારો એવો ઊછાળો આવ્યો છે. ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે, આ સમયે દુનિયાના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ એમેઝોનના ફાઉન્ડર જેફ બેરોઝ છે. તેમની પાસે 175 મિલિયન ડોલરની સંપત્તિ છે. ટોપ 5માં એક પણ ભારતીય નથી. જોકે, છ નંબર પર મુકેશ અંબાણી છે. જોકે, આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીએ છીએ કે તેની પાસે જે સંપત્તિ હતી તે આજના સમયે કોઈની પાસે નથી. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલું દાન તે રોજ કરતો હતો. જોકે, આ જ કારણે તે તથા તેનો દેશ કંગાળ થઈ ગયો હતો.
ઈતિહાસમાં દુનિયાના સૌથી અમીર રાજા તરીકે મનસા મૂસાનું નામ છે. તે સૌથી અમીર તથા ઉદાર રાજા હતો. રાજા મૂસાનો જન્મ 1280માં રાજવી પરિવારમાં થયો હતો. રાજા મૂસા નાનો હતો પરંતુ મોટો ભાઈ એક કામથી પરત ના આવતા રાજગાદી મૂસાને મળી હતી.
રાજા મૂસા માલી દેશનો રાજા હતો. તે સમયે આ દેશ સોનું તથા અન્ય કિંમતી વસ્તુઓનું મુખ્ય વેપારી મથક હતો. માલી દેશને ઘણો જ ફાયદો થતો હતો. તે સમયે માલી દેશ પાસે વિશ્વનું અડધું સોનું હતું.
રાજા મૂસા ઉદાર હોવાને કારણે લોકોને સોનું વહેંચો હતો. રાજા મૂસા એકવાર હજ પર ગયો હતો અને ત્રણ મહિનાની આ સફરમાં તે 60 હજાર લોકોની સાથે નીકળ્યો હતો. કહેવાય છે કે આ મુસાફરીમાં મૂસાએ એટલું સોનું વહેંચ્યું કે દેશની અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ હતી. સોનાનાં ભાવ ઘટી ગયા હતા.
એક અંદાજ પ્રમાણે, આ દરમિયાન મિડલ ઈસ્ટને 100 અબજ કરતાં પણ વધારે નુકસાન થયું હતું. જ્યારે મૂસાને આ વાતની ખબર પડી તો તેણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. મૂસાએ દક્ષિણ આફ્રિકામાં શિક્ષણનો પ્રચાર તથા પ્રસાર કર્યો હતો. તેને સાહિત્ય, કળા તથા વાસ્તુકળામાં ઘણો જ રસ હતો.
ઈતિહાસકારોના મતે, મૂસાએ પોતાના જીવનમાં એટલું દાન કર્યું છે કે લાખો લોકોનું જીવન સુધરી ગયું હતું. જોકે, હજી સુધી એ દસ્તાવેજો મળ્યાં નથી કે મૂસા માટે ટોટલ કેટલી સંપત્તિ હતી.