Only Gujarat

International

ભારતથી 3200 KM દૂર મંડરાઈ રહ્યો છે કોરોના કરતાં પણ મોટો ખતરો

ચીને કઝાકિસ્તાનમાં રહેતા તેના નાગરિકોને સ્થાનિક અજાણ્યા ન્યુમોનિયા વિશે ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે આ ન્યુમોનિયા કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક અને જીવલેણ બની શકે છે. જોકે, કઝાકિસ્તાને ચીનની ચેતવણીને માત્ર અફવા ગણાવી છે.

કઝાકિસ્તાનમાં ચીની દૂતાવાસે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અજાણ્યા ન્યુમોનિયાને કારણે આ વર્ષના પ્રથમ છ મહિનામાં કઝાકિસ્તાનમાં 1772 લોકોનાં મોત થયાં છે, જેમાં ફક્ત જૂનમાં 628 લોકોનાં મોતનો સમાવેશ થાય છે.”. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં ચીનના નાગરિકો પણ હતા.

ન્યુમોનિયાની દુર્ઘટના કોરોના કરતા વધુ છે
ચીનના સત્તાવાર મીડિયા ગ્લોબલ ટાઇમ્સે દૂતાવાસના નિવેદનનો હવાલો આપતા કહ્યું છે કે, આ ન્યુમોનિયાની ઘાતકતા કોવિડ -19 વૈશ્વિક રોગચાળા કરતા વધારે છે. જોકે, કઝાકિસ્તાનના ચીની દૂતાવાસે જારી કરેલી આ ચેતવણીને ખોટા સમાચાર ગણાવ્યા છે.

ચીની દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, કઝાકિસ્તાનના આરોગ્ય વિભાગ તેમજ અનેક સંસ્થાઓ ન્યુમોનિયા વાયરસનો અભ્યાસ કરી રહી છે. આ રોગ કોવિડ -19 થી સંબંધિત છે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સંકેત નથી. કેટલાક ચીનના નિષ્ણાંતોએ ચીનમાં તેના ફેલાવાને રોકવા માટે પગલાં ભરવાની વાત કરી છે.

કઝાકિસ્તાને ચીનના નિવેદનને અફવા ગણાવી
જ્યારે, કઝાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ચીની દૂતાવાસનું આ નિવેદન નકલી છે. હોંગકોંગની સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે મંત્રાલયનો હવાલો આપતા જણાવ્યું છે કે, “કઝાકિસ્તાનનાં નવા પ્રકારનાં ન્યુમોનિયા અંગે કેટલીક ચીની મીડિયા સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી માહિતી ખોટી છે.”

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને આ સંદર્ભે વધુ માહિતીની જરૂર છે. ચીન લોકોને બચાવવા અને રોગચાળા સામે લડવા કઝાકિસ્તાન સાથે મળીને કામ કરવાની આશા રાખે છે. ઉલ્લેખનીય છેકે, કઝાકિસ્તાનની સીમાઓ ચીનનાં ઉત્તર પશ્ચિમી શિનજીયાંગ પ્રાંત સાથે જોડાયેલી છે.

કઝાકિસ્તાનમાં કોરોનાના 51,059 કેસ
ચીની દૂતાવાસે એક અહેવાલમાં જણાવ્યું છે કે, તે કઝાકિસ્તાનના ચીની નાગરિકોને વાયરસના ફેલાવાને રોકવાનાં પગલાઓથી વાકેફ કરવા પ્રયાસ કરી રહ્યુ છે. સ્થાનિક મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે જૂનના મધ્યભાગથી, કઝાકિસ્તાનના ત્રણ પ્રદેશોમાં લગભગ 500 લોકોને ન્યુમોનિયાનો ચેપ લાગ્યો છે.

કઝાકિસ્તાનમાં કોવિડ -19 ની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો, જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના કોરોના વાયરસ રિસોર્સ સેન્ટરના જણાવ્યા મુજબ, કઝાકિસ્તાનમાં અત્યાર સુધી વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસના 51,059 કેસ નોંધાયા છે. અહીં આ જીવલેણ રોગચાળાને કારણે 264 લોકોનાં મોત નીપજ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page