મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જે જાણીને તમારી આંખમાં પણ પાણી આવી જશે. ઘટના એવી બની કે એક વ્યક્તિએ રડતાં રડતાં મજબૂરીને કારણે પોતાની પત્નીની હત્યા કરી નાખી, ત્યારબાદ તે એક પત્ર લખી ગાયબ થઇ ગયો હતો.
વાત એવી બની કે મુંબઇના પવઇ વિસ્તારમાં સોમવાર (10 ફેબ્રુઆરી) રાતે 67 વર્ષીય કાપડના વેપારી અજીત લાડ પોતાની વૃદ્ધ પત્ની શીલાની બીમારીથી એટલો કંટાળી ગયો કે તેણે પત્નીની હત્યા કરી નાખી, ત્યારબાદ ઘરેથી ફરાર થઇ ગયો. બાદમાં પાડોશમાં રહેતા એક યુવકે પોલીસને જાણ કરી કે એક મહિલાનો મૃતદેહ ઘરની નજીક પડ્યો છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જોવા મળ્યું કે એક મહિલાની ગળું રહેંસીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે મૃતદેહ પાસે એક પત્ર મળી આવ્યો હતો અને પતિ ગાયબ હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું, ‘હું મજબૂરીમાં મારી પત્નીને મારી રહ્યો છું. કારણ કે તે અવાર-નવાર બીમાર રહેતી હતી. મેં પૈસા ઉધાર લઈને સારવાર કરાવી હતી.’
વધુમાં તેણે લખ્યું કે હવે મારી પાસે એટલા રૂપિયા નથી કે તેની સારી સારવાર કરાવી શકું. મારા પર દેવું પણ વધી ગયું છે, જેના કારણે હું તણાવમાં રહું છું, હું મરવા ઇચ્છું છું, હવે જીવીને શું કરીશ, પત્નીને એકલી મૂકવા નહોતો માગતો કારણ કે મારા ગયા બાદ તેનું ધ્યાન રાખનારું કોઇ નથી. મારા આ કૃત્ય માટે કોઇ જવાબદાર નથી.’
પોલીસ હાલ એ બાબત જાણવા પ્રયાસ કરી રહી છે કે વૃદ્ધ મહિલાને કઈ બીમારી હતી, જેના કારણે પતિએ તેની હત્યા કરી. વૃદ્ધ અજીતનો પણ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધ દંપતી ઘરમાં એકલા રહેતા હતા. એકલતાને કારણે બંને પોતાના જીવનથી તંગ આવી ગયા હતાં.
પોલીસ ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.