માનતા માન્યાના આઠ વર્ષ બાદ જન્મ્યો હતો દીકરો, ડૉક્ટરની એક ભૂલને કારણે ગુમાવ્યો જીવ
ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 3 વર્ષના બાળકે રમત-રમતમાં ચુંબકી ગળી લીધો હતો. જેના કારણે બાળકને એન્ડોસ્કોપી માટે ગુમાસ્તા નગર સ્થિત અરિહંત હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. એન્ડોસ્કોપી બાદ બાળકનું મોત થયું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે એનેસ્થિસિયા (બેભાન કરવાની દવા)નો ઓવરડોઝ અને બેદરકારીને કારણે બાળકનું મોત થયું અને તેમણે હોસ્પિટલમાં હંગામો કર્યો હતો.
પરિવારજનોએ જણાવ્યું કે, દીકરો કબીર તિવારી હસતા-હસતા ઓપરેશન થિએટરમાં ગયો હતો. એન્ડોસ્કોપી કરી ચુંબક તો નીકાળવામા આવ્યો પરંતુ હોસ્પિટલની બેદરકારીથી પરિવારે એકમાત્ર સંતાન ગુમાવ્યું હતું. ફરિયાદ બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે જીલ્લા હોસ્પિટલે મોકલ્યું હતું.
કબીરના પિતા સુનીલ તિવારીએ કહ્યું કે, 29 જુલાઈના દીકરાએ ચુંબક ગળી લીધો હતો. જે પછી પરિવારજનો તેને લઈ અરિહંત હોસ્પિટલે પહોંચ્યા હતા. તે દિવસે બાળકને શરદી હોવાથી ડૉક્ટર્સે એન્ડોસ્કોપી ના કરી. તેમણે 9 ઓગસ્ટે ચુંબક કાઢવાનો નિર્ણય લીધો.
માતા-પિતાએ સોમવારે ઓપરેશન થિએટરમાં જતા પહેલા બાળકને વહાલ કર્યું અને કબીર તે સમય હંસી રહ્યો હતો. તેની એન્ડોસ્કોપી સવારે 8 કલાકે શરૂ થઈ અને એક કલાક ચાલી હતી. ડૉક્ટર્સે ચુંબક કાઢી બાળકને એનઆઈસીયુમાં શિફ્ટ કર્યો હતો. ડૉક્ટર્સે કહ્યું હતું કે- બાળકને ભાનમાં આવતા 45 મિનિટ લાગશે. જોકે અમુક સમય બાદ ડૉક્ટર્સે કહ્યું કે- બાળકને ભાનમાં આવતા 3-4 કલાક લાગશે. જે પછી કબીરની માતા નીતૂએ દીકરાને સ્પર્શ કરી જોયો તો તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. જે પછી તેમણે આ મુદ્દે ડૉક્ટર્સ સાથે વાત કરી હતી.
ડૉક્ટર્સે કહ્યું કે- બાળકને સ્વસ્થ થતા સમય લાગશે. જોકે તે ઘણા સમય સુધી ભાનમાં આવ્યો નહોતો. જે પછી ડૉક્ટર્સે બાળકનું મોત થયાનું જણાવ્યું હતું. પરિવારજનોએ મોતનું કારણ પૂછતા ડૉક્ટર્સ જવાબ આપી શક્યા નહોતા. માત્ર એટલું જ જણાવ્યું કે, આ પ્રકારનો કેસ પ્રથમવાર તેમણે જોયો છે.
બાળકના પિતા સુનીલ તિવારીએ જણાવ્યું કે, ‘ડૉક્ટર મયંક જૈન અને મેડમ સાથે વાત કરી તો તેઓ મોતનું કારણ જણાવી શક્યા નહીં. મારા દીકરાનું મોત એનેસ્થિસિયાના ઓવરડોઝને કારણે થયું હતું. ડૉક્ટર્સ પોતાની ભૂલ સ્વીકારી રહ્યાં નથી. તેઓ કહે છે બાળકની હાર્ટ બીટ અચાનક બંધ થઈ હતી. વેન્ટિલેટર પર રખાયો પરંતુ રિકવરી જોવા મળી નહીં.’
અરિહંત હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર સંજય રાઠોડે કહ્યું કે, ‘બાળકનું ઓપરેશન એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમે કર્યું હતું. તેનું પ્રી-ચેકઅપ પણ કરવામા આવ્યું હતું. એન્ડોસ્કોપીથી ચુંબક કાઢવામા આવ્યું. જે પછી તેને રિકવરી માટે એનઆઈસીયુંમાં શિફ્ટ કરાયો હતો. જ્યાં બાળકનું સેચુરેશન બગડતું રહ્યું. પરંતુ મોતનું કારણ અમે પણ સમજી શક્યા નથી.
તેની ઑટોપ્સી કરાવવામાં આવી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વાસ્તવિક કારણ જાણી શકાશે. અમે પોલીસને સારવાર સંબંધિત તમામ ડોક્યુમેન્ટ આપી દીધા છે. બાળકને એનેસ્થીસિયા આપનાર ડૉક્ટર સોનલ નિવસ્કર તથા ગેસ્ટ્રો એન્ટ્રાલૉજીસ્ટ ડૉક્ટર મયંક જૈન એક્સપર્ટ ડૉક્ટર્સ છે. સંપૂર્ણ સારવાર મેડિકલ પ્રોટોકૉલ હેઠળ કરવામા આવી હતી.’