નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોના સંકટનો સામનો કરવા સરકાર નવી રણનીતિ અપનાવી રહી છે. સરકારે ઈન્ટેલિજેન્ટ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી ડેવલપ કરી છે, જેથી ભારતમાં કોરોના ટેસ્ટિંગને વધારી શકાય. અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
સરકારના સૂત્રો અનુસાર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં બીજા રાજ્યોમાંથી પહોંચેલા મજૂરો મોટો પડકાર બની રહ્યાં છે. આઈસીએમઆરએ કહ્યું કે- ‘અમે 2009માં ફેલાયેલા સ્વાઈન ફ્લૂથી બોધપાઠ લેતા માળખાને મજબૂત કર્યું છે.
ટેસ્ટિંગની વધતી જરૂરિયાતને પૂર્ણ કરવા ભારતે વાયરસની આગળ રહેવા માટે ઈન્ટેલિજન્ટ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી બનાવી છે. દેશમાં હાલ 610 લેબ છે, જેમાં 432 જાહેર અને 178 ખાનગી છે. જે હાલ રોજ 1.1 લાખ ટેસ્ટ કરી રહી છે. ટેસ્ટિંગ ક્ષમતા 1.4 લાખ સુધી વધારવામાં આવી છે, જેને આગળ જતાં 2 લાખ કરવામાં આવી રહી છે.’
આઈસીએમઆરે અગાઉ પોતાના ટેસ્ટિંગ માપદંડોનો વિસ્તાર કર્યો છે, જેથી પરત ફરનાર પ્રવાસીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કર્મચારીઓને સામેલ કરી શકાય. આરટી-પીસીઆર પરિક્ષણ ઉપરાંત જે રાજ્ય ટીબી કેમ્પેન પર કામ કરી રહ્યાં છે, ચેમને કોરોના ટેસ્ટિંગ માટે ટ્રનેટ મશીનની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.
દેશના કોઈપણ રાજ્યમાં પ્રાથમિક સેવાઓની સ્થિતિ સારી નથી. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વધારે લેબ તૈયાર કરવામાં આવી રહી છે.
હાલ 15 રાજ્યોમાં 367 મશીન છે અને 20 જૂન સુધી તમામ રાજ્યોમાં 608 વધુ મશીન ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.