મુંબઈઃ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ભોજનના 95000 ફૂડ પેકેટ્સ બનાવડાવી જરૂરિયાતમંદ લોકોને આપ્યાં છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 11 હજાર કરતાં પણ વધારે થઈ ગઈ છે. તો મૃતકોની સંખ્યા પણ 400 કરતાં વધારે થઈ ગઈ છે. કોરોનાથી સતત વધી રહેલ કેસોને ધ્યાનમાં રાખી લોકડાઉનની મર્યાદા પણ વધારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (14 એપ્રિલ) દેશને સંબોધિત કરી લોકડાઉનની મર્યાદા ત્રણ મે સુધી વધારી છે.
લોકડાઉનના કારણે દેશમાં ગરીબો અને મજૂરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કામ-ધંધો બંધ થતાં જ તેમને આર્થિક મંદીનો સામનો કરવો પડે છે. તો દેશના ઘણા લોકો ગરીબોની મદદ માટે આગળ આવ્યા છે. બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી કોરોના વાયરસના કારણે આર્થિક સમસ્યાઓ સહન કરી રહેલ મજૂરોની મદદ માટે આગળ આવ્યાં છે.
ગૌરી ખાને મુંબઈમાં મજૂરો અને ગરીબો માટે 95000 ફૂડ પેકેટ્સ બનાવડાવ્યાં છે. તેમણે આ ભોજન તેમના રોટી બેન્ક ફાઉન્ડેશન અને મીર ફાઉન્ડેશનના સહયોગથી વહેંચ્યાં છે, જેની માહિતી ગૌરી ખાને જાતે જ સોશિયલ મીડિયામાં આપી છે. ગૌરી ખાને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ભોજન વહેંચી રહેલ લોકોના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં સામાન્ય લોકો અને પોલીસના જવાનો લોકોને ફૂડ પેકેટ્સ વહેંચતા જોવા મળે છે.
આ ફોટોની સાથે ગૌરી ખાને કેપ્શન લખ્યું, ‘રોટી ફાઉન્ડેશને મીરા ફાઉન્ડેશનના સહયોગથી મુંબઈની ગરીબ વસ્તીમાં 95000 લોકોને ભોજન પહોંચાડ્યું. આ તો એક શરૂઆત છે. હજી આવાં ઘણાં કામ કરવાનાં છે.’ સોશિયલ મીડિયામાં ગૌરી ખાનની આ પોસ્ટ બહુ વાયરલ બની છે. બધાં જ સોશિયલ મીડિયાનાં યૂઝર્સ અને શાહરૂખ ખાનના ફેન્સ ગૌરીની આ પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, શાહરૂખ અને ગૌરીએ ગત દિવસોમાં જ કોરોના પ્રભાવિત લોકોની મદદ કરવાની જાહેરાત કરી હતી. બંનેએ આ માટે આર્થિક મદદ તો કરી જ છે, સાથે-સાથે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પણ આપી રહ્યાં છે. ગૌરી ખાન પહેલાં શાહરૂખ ખાને કોરોના વાયરસની લડાઇમાં ફ્રંટ રોમાં કામ કરી રહેલ મેડિકલ સ્ટાફ માટે 25000 પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ્સ) કિટ્સ આપી છે. જેની માહિતી મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વિટર પર આપી છે.