મોબાઈલ ફોનના વળગણથી કોઈ બાકાત નથી. એક સમય હતો જ્યારે મોબાઈલ એકબીજા સાથે સંપર્ક જાળવવાનું માધ્યમ હતો. પરંતુ હવે લોકોને મોબાઈલ અને ખાસ કરીને રીલ્સનું એવું ઘેલું લાગ્યું છે કે પરિવારના લોકોનો પણ એકબીજા સાથેનો સંપર્ક ઘટવા લાગ્યો છે.
મોબાઈલ અને રીલ્સની આ માયાજાળ સમયનો અને સંબંધોનો બગાડ કરે છે તે વાત ખૂબ ઓછા લોકો સમજે છે. પરંતુ રાજકોટના એક ગૃહિણી આ વાતને બરાબર સમજી ગયા અને તેમણે અધિક મહિનામાં અનોખો ઉપવાસ કર્યો છે.
વર્તમાન સમયમાં રીલ્સની માયાજાળ એવી ફેલાઈ છે કે લોકો રાતોરાત ફેમસ થવા સતત સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહેવા લાગ્યા છે. આવી જ સ્થિતિ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના એક મહિલાની હતી. તેમને પણ રીલ્સ જોવા, સોશિયલ મીડિયા વગેરેની લત લાગી ગઈ હતી. જો કે સમયસર તેઓ આ વાત સમજી ગયા. તેવામાં જ્યારે અધિકમાસની શરુઆત થઈ તો આ મહિલાએ ઈ ઉપવાસ શરુ કર્યા. એટલે કે અધિકમાસ શરુ થયો ત્યારથી તેમણે મોબાઈલનો ઉપયોગ બંધ કરી દીધો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના કીર્તિબેન ફિચડિયા પણ મોબાઈલના વ્યસની બની ગયા હતા. તેમના જણાવ્યાનુસાર તેમને પણ ફોન પર સતત વાત કરવાની ટેવ પડી ગઈ હતી. ઘરના કામ કરતાં કરતાં પણ વારંવાર વ્હોટસએપ, ફેસબુક ચેક કરવા, કલાકો સુધી રીલ્સ જોવાની આદત પડી ગઈ હતી. તેથી આ આદતને છોડવા માટે તેમણે પુરુષોત્તમ મહિના દરમિયાન મોબાઈલનો ઉપયોગ સાવ બંધ કરી દેવાનું નક્કી કર્યું.
પુરુષોત્તમ મહિનામાં બધા ભક્તિ કરી ભોજન ન કરીને ઉપવાસ રાખે છે. પરંતુ કીર્તિબેન ફિચડિયાએ ભોજનના ઉપવાસની સાથે મોબાઇલ પણ ન અડવાનો નિયમ લીધો છે. એટલે કે પુરુષોત્તમ માસમાં ઈ-ઉપવાસ કર્યા છે. તેમનું કહેવું છે કે મોબાઈલમાં સમયનો વડેફાટ થાય છે અને આ એક માસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાથી તેમની મોબાઈલની લત પણ છૂટી જશે.