ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં રાજા-મહારાજા જેવા બનીને વિસ્તારમાં નામ કમાવવાના શોખમાં એક ડોક્ટરે માત્ર 1200 સ્ક્વેર ફૂટની જગ્યામાં 14 માળની ઈમારત ઉભી કરી. કિલ્લા જેવી ઈમારતને આકાશને સ્પર્શતી જોઈને આસપાસના લોકોએ વિરોધ કરતાં ઈમારત બનાવવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં, બિલ્ડીંગ બનાવવા ઉપરાંત આ ડોક્ટરને લગ્ન કરવાનો પણ શોખ હતો. કદાચ આ જ કારણ હતું કે તેણે એક જ બિલ્ડિંગમાં રહેવા માટે એક પછી એક 4 લગ્ન કર્યા. તેમને તેમની પત્નીઓથી 6 બાળકો પણ છે.
આ કિસ્સો જિલ્લાના ચુનાર તાલુકામાં અદલહાટ વિસ્તારનો છે. શ્રુતિહાર ગામના રહેવાસી સીયારામસિંહ પટેલને ખ્યાતિનો એટલો નશો ચડી ગયો કે તેણે 14 માળની ગગનચુંબી ઈમારત બનાવી. સ્થાનિક લોકોના મતે સીયારામને પ્રસિદ્ધિ અને ખ્યાતિનો શોખ છે. તેનું સપનું હતું કે વિસ્તારના દરેક વ્યક્તિ તેને ઓળખે. આ માટે તેમણે બે દાયકા પહેલા બિલ્ડીંગનું બાંધકામ શરૂ કર્યું હતું. ધીમે-ધીમે જ્યારે ઈમારતની ઊંચાઈ વધવા લાગી ત્યારે આજુબાજુમાં રહેતા લોકોએ તેની સામે અદલહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસની દરમિયાનગીરી બાદ બિલ્ડીંગનું બાંધકામ અટકાવવામાં આવ્યું હતું. પરંતુ બહુમાળી બિલ્ડીંગ હજુ બે દાયકાથી આ રીતે જ ઉભી છે. કાયદાકીય વિવાદના કારણે છેલ્લા દસ વર્ષથી આ બિલ્ડીંગ બંધ છે. સ્થાનિક રામેશ્વર ગોંડનું કહેવું છે કે સીયારામ સિંહ પટેલની ત્રીજી પત્નીના બાળકો ભરણપોષણ માટે કોર્ટમાં ગયા હતા. ત્યારથી બિલ્ડિંગ સંપૂર્ણપણે બંધ છે.
આકાશને સ્પર્શતી ઈમારતની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે આ ઈમારત જર્જરિત થઈ ગઈ છે. તેની ઊંચાઈને કારણે ડર લાગે છે કે આ ગમે ત્યારે પડી જવાથી મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ ઈમારતને તોડી પાડવા માટે પણ લોકો પ્રશાસન પાસે માગ કરી રહ્યા છે. હાલમાં બિલ્ડીંગના શોખીન સીયારામસિંહ પટેલ દસ વર્ષ પહેલા ગામ છોડીને સોનભદ્રમાં સ્થાયી થયા હતા. અત્યારે પણ લોકો આ ઈમારતને જોવા ગામમાં આવતા રહે છે.