બાગપતઃ ખેડૂતે પોતાની પ્રિય ગાયના મોત બાદ શનિવાર 6 જૂને તેરમા દિવસે બ્રહ્મભોજ કરાવ્યું હતું. જેવી રીતે સ્વજનના મૃત્યુ બાદ તેરમાનો ભોજન સમારોહ યોજાય તેવી જ રીતે આયોજન કર્યું હતું. ગાયના ફોટા પર પુષ્પ અર્પિત કરી હવન પુજા કરી હતી. બાદમાં લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું. ભોજન સમારોહમાં પુરી-શાકની સાથે ગુલાબ જાંબુ પણ હતા.
કહેવામાં આવે છે કે ગાય આ પરિવારની 27 વર્ષથી સભ્ય રહી હતી. આ ખેડૂત પરિવારે વર્ષ 2006માં બળદનું પણ તેરમું રાખ્યું હતું. આ ઘટના ઉત્તરપ્રદેશના બાગપતના દોઘટ વિસ્તારના દાહા ગામની છે.
કૃષ્ણપાલે 1993માં પોતાના સંબંધીને ત્યાંથી એક વાછરડું લાવ્યા હતા. આ વાછરડાને તેમણે પોતાના પરિવારના સભ્યની જેમ સાચવ્યું હતું. કૃષ્ણપાલ તેને પ્રેમથી રાધા બોલાવતા હતા. સમયની સાથે સાથે વાછરડાથી રાધા ગાય બની ગઇ અને પરિવાર સાથે પોતે પણ એક સભ્યની જેમ વ્યવહાર કરવા લાગી. પરંતુ જેમ જેમ સમય વધતો રહ્યો ગાયની ઉંમર પણ વધતી ગઇ. અંતે એક સમયે આવ્યો જ્યારે રાધાનું મૃત્યુ થઇ ગયું.
કૃષ્ણપાલનો પરિવાર રાધા ગાયને પરિવારની સભ્ય માનતા હતા. આ કારણે બધાએ રાધાના મૃત્યુ બાદ તેના તેરમાનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વિધિ વિધાન સાથે ઘરમાં હવન કરાવવામાં આવ્યું અને તેરમાનું ભોજન કંદોઇ પાસે કરાવવામાં આવ્યું.
ગામજનોને જમણવારનું આમંત્રણ આપવામાં આવ્યું. જોકે દેશમાં લોકડાઉનના કારણે પરિવારે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખી લોકોને ભોજન કરાવ્યું. જમણવારમાં ગુલાબ જાંબુ, પુરી-શાક સહિતની વાનગી પીરસવામાં આવી.
કૃષ્ણપાલે જણાવ્યું કે રાધા તેમના માટે ગાય જ નહીં પરંતુ પરિવારની સભ્ય હતી. આ પહેલા પણ આ પરિવાર મુંગા પ્રાણીઓ માટે પોતાના પ્રેમના કારણે ચર્ચામાં આવી ચૂક્યો છે. ગાયના ફોટા પર પુષ્પ અર્પિત કર્યા અને શારીરીક દૂરીનું ધ્યાન રાખી ગ્રામજનોને બ્રહ્મભોજ કરાવ્યું એટલું જ નહીં ગ્રામજનોને માસ્ક પણ વહેંચ્યા.