દેશમાં લોકડાઉન લાગુ થયાને ત્રણ મહિના થવા આવ્યા પરંતુ હજુ જનજીવન પાટે ચડ્યું નથી. મજૂરોની ઘરવાપસી હજુ પણ ચાલુ જ છે. લોકો સતત ઘરે પરત ફરવાની ફિરાકમાં છે. તો આ દરમિયાન એક પરિવાર પોતાની કારમાં મુંબઇથી બિહાર જવા નિકળ્યો છે. તે સોમવારે ભોપાલ પહોંચ્યો હતો. તેઓએ પોતાની આ કારને જ છેલ્લા કેટલાક દિવસથી પોતાનું ઘર બનાવી રાખ્યું છે. આ કારમાં તેઓ જરૂરિયાતની એવી તમામ વસ્તુ સાથે લઇને આવ્યો છે જેની ખાસ જરૂર પડે છે.
મુંબઇમાં સીએસટી પર કપડા વેચવાનો બિઝનેસ કરતા શાંતનુ કુમાર પોતાના સમગ્ર પરિવાર સાથે ચાર દિવસ પહેલા મુંબઇથી બિહાર જવા નિકળ્યા છે. તેમની સાથે તેમની પત્ની અને બે પુત્રી પ્રિયા અને રિયા છે. તેઓએ સોમવારની રાત ભોપાલમાં રસ્તાની સાઇડમાં વિતાવી. શાંતનું કુમારનું કહેવું છે કે તે રાતે સફર કરતા નથી. જ્યાં રાત થઇ જાય ત્યાં જ કાર રોકી દે છે અને આખી રાત ત્યાં જ વિતાવે છે.
શાંતનું કુમારે જણાવ્યું કે લોકડાઉનમાં તેમનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો. મુંબઇમાં કોરોનાનો સૌથી વધુ કહેર છે આથી અમને ખાવા-પીવાના પણ ફાફા પડી રહ્યાં હતા. એવામાં અમે અમારા ગામ જવાનો નિર્ણય લીધો છે.
આ પરિવારે પોતાની કારને એક નાનું ઘર બનાવી રાખ્યું છે. તેઓએ કારમાં ધાબળા, ખાવા-પીવાનો તમામ સામાન રાખ્યો છે. તેઓ સવારે પહેલા ખેતરમાં રહેલા ટ્યુબવેલમાં સ્નાન કરે છે પછી કારમાંથી સ્ટવ કાઢી ખાવાનું ખાય છે. ત્યારબાદ ફરી પોતાની સફર શરૂ કરે છે.
તેઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તેઓએ એક કે બે વખત જ જમવાનું બનાવ્યું છે કારણ કે રસ્તામાં અનેક સેવાભાવી લોકો ફૂડ પેકેટ વેંચી રહ્યાં છે.
શાંતનુંએ જણાવ્યું કે જેવા અમે મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ્યા કે ઠેર ઠેર લોકો મદદ કરી રહ્યાં હતા. વિશ્વાસ ન થયો કે આટલા સારા લોકો પણ હોય છે. સંકટના આ સમયમાં લોકો રસ્તા પર ખાવા-પીવા અને અન્ય જરૂરિયાતનો સામાન લઇને ઉભા હતા.