કોરોનાને લઈ ચાલતી હતી મિટિંગ, યોગીજીને મળ્યો એક પત્ર અને થોડી ક્ષણો માટે કંઈ જ બોલી ના શક્યા
લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 89 વર્ષિય પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થઇ ગયું. આનંદ સિંહને કિડની અને લીવરની સમસ્યા બાદ દિલ્હીના એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમવાર 20 એપ્રિલ સવારે સીએમ યોગી ટીમ-11 સાથે કોરોનાથી ચાલી રહેલા જંગની સમીક્ષા કરી રહ્યાં હતા, આ દરમિયાન એક નજીકના વ્યક્તિ ગણાતા બલ્લુ રાય મિટિંગમાં આવ્યા અને સીએમને એક ચિઠ્ઠી પકડાવી. આ ચિઠ્ઠી વાંચ્યા બાદ તુરંત એક મિનિટ સુધી તેઓ અવાક રહી ગયા. બાદમાં તેમની આંખમાં આંસુ પણ આવ્યા હતા.
સોમવારની સવારે 10 વાગ્યે સીએમ યોગી રાજસ્થાનના કોટામાંથી ઉત્તરપ્રદેશ લાવવામાં આવેલા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ટીમ-11 સાથે ખાસ બેઠક કરી રહ્યાં હતા. સીએમ યોગીની બેઠક ચાલી રહી હતી કે આ દરમિયાન તેમના ખાસ નજીકના વ્યક્તિ ગણાતા બલ્લુ રાય મિટિંગરૂમમાં પ્રવેશ્યા. સામાન્ય રીતે તેઓ ક્યારેય સીએમ યોગીજીની કોઇપણ બેઠકમાં સામેલ થતા નથી, આથી મિટિંગ રૂમમાં તેમના આવવાથી બધા આશ્ચર્યમાં પડી ગયા. બલ્લુજી ચુપચાપ આવી, યોગીજીના હાથમાં એક ચિઠ્ઠી આપી દીધી. આ ચિઠ્ઠી વાંચ્યા બાદ યોગીજીની આંખો ભરાઇ આવી.
બાદમાં યોગીજીએ બલ્લુને કોઇ સાથે ફોન પર વાત કરવાનું કહ્યું. અંદાજે એક મિનિટની વાર્તા બાદ સીએમએ જ્યારે ફોન કાપ્યો તો તેઓ શાંત થઇ ગયા. તેમની આંખમાં આંસુ હતા અને તેઓ અંદાજે 1 મિનિટ સુધી મૌન રહ્યાં બાદ ફરી અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી. ત્યારબાદ 20 મિનિટ સુધી બેઠક ચાલી પછી જ તેઓ બહાર નીકળ્યા. સીએમ યોગીએ પિતાના મૃત્યુની સૂચના બાદ પણ કોરોના પર ચાલી રહેલી જરૂરી બેઠક પૂર્ણ કરી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી. જ્યારે તમામ ચર્ચા પૂર્ણ થઇ ત્યારે બેઠક પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મુખ્યમંત્રી યોગી પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા નહોતા. તેમણે એક પત્ર લખી આ વાતની જાણકારી આપી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું, મારા પૂજ્ય પિતાજીના કૈલાશવાસી હોવા પર મને ખુબ જ દુઃખ તથા શોક છે. તે મારા પુરાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઇમાનદારી, કઠોર પરિશ્રમ તથા નિઃસ્વાર્થ ભાવથી લોક મંગલ માટે સમર્પિત ભાવ સાથે કામ કરવાના સંસ્કાર બાળપણમાં તેમણે મને આપ્યા.
અંતિમ ક્ષણમાં તેમના દર્શન કરવાની હાર્દિક ઇચ્છા હતી પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસ સામેની લડાઇને યુપીની 23 કરોડ જનતાના હિતમા આગળ વધારવા કર્તવ્યબોધના કારણે હું મારી આ ઈચ્છા પૂર્ણ કરી શકું તેમ નથી. 21 એપ્રિલે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં લોકડાઉનની સફળતા તથા મહામારી કોરોનાવાઈરસથી લડવાની રણનીતિને કારણે ભાગ નહીં લઇ શકું.
પૂજનીય મા, પૂર્વાશ્રમમાં જોડાયેલા તમામ સભ્યોને અપીલ છે કે તેઓ લોકડાઉનનું પાલન કરી ઓછામાં ઓછા લોકો અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં હાજર રહે. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટી કોટી નમન કરી તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું અને લોકડાઉન બાદ દર્શનાર્થે આવીશ.