જયપુર: સોશ્યલ મીડિયાના વધતાં વપરાશની આડઅસરો હવે સમાજ પર વર્તાઈ રહી છે. રાજસ્થાનના જયપુરમાં એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ફેસબૂક પર 6 હજારથી વધુ ફોલોવર્સ હોવાથી તે હંમેશા મોબાઈલ પર બિઝી રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, આથી પતિએ પત્નની ઘાતકી હત્યા કરી નાંખી હતી. પતિને પત્નીનું અફેર હોવાનો શક હતો. કપલને ત્રણ માસનો બાળક પણ છે.
અયાઝ અહમદ અંસારી નામના 26 વર્ષના યુવાને 22 વર્ષીય પત્ની રેશા ઉર્ફે નૈના મંગલાનીની હત્યા કરી નાંખી હતી. રિસામણે પિયર ગયેલી પત્નીને ફરવાના બહાને બોલાવી જયપુર-દિલ્હી હાઈ-વે પર લઈ જઈને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.કોઈ લાશને ઓળખી ન શકે એટલા માટે અયાઝે તેનું માથું અને ચહેરો પથ્થરથી કુચડી નાંખ્યો હતો.
પોલીસે આરોપી પતિ અયાઝ અહમદ અંસારીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પત્નીના ફેસબૂક પર છ હજારથી વધુ ફોલોવર હતા. તે આખો દિવસ મોબાઈલમાં જ બિઝી રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે ઝગડા થતા હતા. જેનાથી તંગ આવીને તેની હત્યા કરી નાંખી હતી.,
આરોપીએ જણાવ્યું હતું કે રવિવાર સવારે પિયરથી તેને સમાધાનના બહાને બોલાવી હતી. તેને આખો દિવસ ફેરવી હતી. પછી અંધારું થતાં જયપુર-દિલ્હી હાઈવે લઈ જઈને તેની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. પોલીસે જણાવ્યું હતું કે દંપતીને ત્રણ માસનો પુત્ર પણ છે. આરોપીને પોતાની પત્નીને અફેર હોવાનો શક હતો.
પોલીસે જણાવ્યું હતું કે અયાઝ અહમદ અંસારી જયપુરના રિયાઝ અહમદનો પુત્ર છે. અયાઝની બે વર્ષ પહેલાં નૈના ઉર્ફે રેશ્મા સાથે મુલાકાત થઈ હતી. બંનેની ગાઢ ફ્રેન્ડશીપ ઓક્ટોબર 2017માં લવ મેરેજમાં પરિણમી હતી.
લગ્ન બાદ બંને જયપુરમાં એક ફ્લેટમાં રહેતા હતા. છેલ્લાં થોડાક સમયથી અયાઝને પત્ની રેશ્માના ચરિત્ર પર શક થવા લાગ્યો હતો. જેનાથી બંને વચ્ચે વારંવાર ઝગડા થતા હતા.રેશ્મા તેના પિયર ચાલી ગઈ હતી.
રેશ્માના પરિવારજનોના કહેવા મુજબ રેશ્મા પતિ અયાઝ પાસેથ છૂટાછેડા લેવા માંગતી હતી. પણ અયાઝે સમાધાનના બહાને રેશ્માને બોલાવી તેની હત્યા કરી નાંખી હતી.(તસવીરો સૌજન્ય-ફેસબૂક)