નવી દિલ્હીઃ કોરોનાના કહેરની સામે આખી દુનિયાની રફ્તાર થંભી ગઈ છે. લોકો પોતપોતાના ઘરોમાં કેદ છે. દરમિયાન, વિશ્વભરમાંથી સતત પ્રદૂષણ ઘટી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતની બે મોટી નદીઓનું પાણી પણ ચોખ્ખુ દેખાય છે. ગંગા અને યમુનાનું પાણી એટલું ચોખ્ખુ થઈ ગયું છે કે લોકોને આશ્ચર્યમાં પડી ગયા છે.
વાસ્તવમાં, કોરોના વાયરસને કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે લગભગ તમામ ઉદ્યોગો બંધ છે. નાનાથી લઈને મોટા કારખાનાઓ પણ કોરોના વાયરસના ભયને કારણે બંધ છે. આ કારણોસર જ આ નદીઓનું પાણી ચોખ્ખુ થઈ ગયું છે.
દિલ્હીમાં યમુનાનું પાણી એટલું ચોખ્ખુ દેખાઈ રહ્યુ છે કે લોકો આશ્ચર્યચકિત છે. કારણ કે અહીં યમુનાનું પાણી હંમેશાં ગંદુ દેખાતું હતું. બધી ફેક્ટરીઓમાંથી આવતો કચરો યમુનામાં જ પડતો હતો. આ જ કારણ છે કે પાણી હવે શુદ્ધ બન્યું છે.
દિલ્હીની યમુના નદીમાં ગંદકીને કારણે પાણી સફેદ ફીણ જેવું દેખાતું હતુ પરંતુ હવે નદીનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે. બીજી તરફ ગંગા નદી પણ ખૂબ જ સ્વચ્છ દેખાઈ રહી છે કાનપુર અને બનારસ જેવા શહેરોમાંથી ગંગાનું પાણી ચોખ્ખું દેખાય છે. બનારસમાં ગંગાના કાંઠે દોડતી બોટ ભલે બંધ થઈ ગઈ હોય, પરંતુ ગંગાના શાંત પાણીથી લોકો ખુશ આનંદ અનુભવી રહ્યા છે.
જોકે, બનારસમાં હજી પણ મોટી મોટી ગટરોનાં પાણી નદીમાં જઈ રહ્યા છે. તેમ છતાં આ લોકડાઉનને કારણે આ 15 દિવસોમાં ગંગાની સ્થિતિ ઘણી સુધરી ગઈ છે. કાનપુરથી પણ ગંગા હવે ચોખ્ખી દેખાઈ રહી છે. અહીં ગંગાના ઘાટના કિનારે રહેતા લોકોનું માનવું છેકે, થોડા સમયથી ગંગાની નિર્મળતા અને શુદ્ધતામાં વધારો થયો છે. પૈસા ખર્ચવા છતાં પણ આ નદીઓ ચોખ્ખી થતી નહોતી.