બુધવારે સવારે ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં ઝડપી રોડવેઝની બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર આઠ લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે 25 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. દુર્ઘટના મુરાદાબાદ-આગરા નેશનલ હાઈવે પર ધનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.
આ અકસ્માત ધુમ્મસને કારણે થયો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. બસ ચંદૌસીથી મુસાફરોને લઈને અલીગઢ જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેન્કર બસને ચીરે બીજી તરફ નીકળી ગયું હતું જેને કારણે બસનો અડધો ભાગ તૂટીને રોડ પર પડ્યો હતો.
અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને રાહતકાર્યમાં કામે લાગી ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને પીડિતોની શક્ય એટલી તમામ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
SP ચક્રેશ મિશ્રએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં બસમાંથી 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે મોતનો આંકડો હજી પણ વધે તેવી સંભાવના છે. અકસ્માતમાં મૃતકોની સંખ્યા એક ડઝન કરતા પણ વધુ પહોંચે તેવી આશંકા છે. જ્યારે અકસ્માતમાં 25થી પણ વધારે લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો.