જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા હતા તેની સાથે જ દિયરને અનૈતિક સંબંધ હતો. પણ આ અનૈતિક સંબંધ લોહિયાળ બન્યો અને શરીરસુખ આપવાની ના પાડતા દિયરે ભાભીને માર માર્યો. જ્યારે ગુસ્સે ભરાયેલા ભાભીએ દિયરની હત્યા કરી દીધી. વાત છે સુરેન્દ્રનગરની. જ્યાં વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ બાળકો મોટા થયા હોઇ ભાભીએ સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. ભાભીએ રાત્રે 3 વાગ્યે દિયરને ગળામાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો.
હોશ ઉડાડી દેનારી આ ઘટનાની વિગત એવી છે કે સુરેન્દ્રનગરમાં આવેલા ગંગાનગરમાં રહેતા કસ્તુરીબેન અને મૃતક દિયર સાગરભાઈ સાથે પ્રેમસંબંધ હતો. સાગરભાઇ સાંતલપરા (ઉંમર 41 વર્ષ) ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા. સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો. એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી.
સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પુત્રએ બૂમો પાડતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે આવી દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચનાથી પોલીસ ટીમે સઘન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કસ્તુરીબેન અને તેના દિયર વચ્ચે અનૈતિક સંબંધ હતો. પોલીસે મહિલાની ઉંડી પૂછપરછ કરતાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું હતું કે, તેના પતિ વજાભાઈ સાંતલપરાનું ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. જ્યારે તેના દિયરની પત્નીનું પણ અવસાન થયું હોવાથી ભાભી-દિયર વચ્ચે પ્રેમસંબંધ હતો.
આ દરમિયાન મહિલાના બન્ને દીકરા મોટા થઈ ગયા હોવાથી ભાભીએ દિયરને હવે આ સંબંધનો અંત લાવવા માટે કહ્યું હતું. પરંતુ મૃતક દિયર માન્યો ન હતો અને અવારનવાર શરીર સંબંધ બાંધવાની માગણી કરતો હતો. ગત 15 ઓક્ટોબરની રાત્રિએ મૃતક સાગરે ઘરમાં આવી બળજબરીથી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ જ રાત્રે મહિલાને ગુસ્સો આવતાં છરી વડે દિયરની હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી કસ્તુરી સાંતલપરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.