મા ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા હળવદ તાલુકાના રણજીતગઢ ગામના જવાન ગામ પરત ફર્યા હતા.આથી ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ દેશભક્તિના ગીતો સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નાના એવા રણજીતગઢ ગામે રહેતા દિલીપભાઇ જસમતભાઇ સોનગ્રા પોતાના જીવનના 17 વર્ષ દેશની સરહદના રખોપા કરી નિવૃત્ત થતા માદરે વતન રણજીતગઢ આવ્યા હતા. આથી ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.
સાથે જ દિલીપભાઈની દેશસેવાને ગ્રામજનો સહિત હાજર રહેલ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.નિવૃત્ત આર્મી જવાન દિલીપભાઈ સોનગરાએ સ્વાગત-સન્માન બદલ આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું જરૂરી માર્ગદર્શન આપીશ.
યુવાનોને દેશ સેવામાં જોડવા આહવાન કરું છું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા, દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ દલવાડી,તપનભાઈ દવે, હિતેશભાઈ લોરીયા, રવિભાઈ પટેલ,કિરણ સહિતનાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.