અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો છે.
અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે
અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં જણાવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
બાવળા બગોદરા રોડ પર ગોઝારા અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત થયું છે. વિગતો મુજબ છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. આ લોકો ચોટીલા દર્શન કરીને ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તરફ અકસ્માત બાદ 3 લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ચકચાર મચી ગઈ છે.