સુરત: ગુજરાતમાં ઘણાં લોકો દીક્ષા લેતાં હોય છે જેમાં સુરતમાં સૌથી વધુ લોકો દીક્ષા ગ્રહણ કરતાં હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં 1 ફેબ્રુઆરીએ 19થી પણ વધારે દીક્ષાર્થીઓએ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. ત્યારે એક મહત્વની વાત એ છે કે, સુરતમાં એક જ પરિવારના 4 બાળકો દીક્ષા ગ્રહણ કરવાના છે. જેમાંથી બે બાળકોના કાકા તો 17 વર્ષ અગાઉ જ દીક્ષા લઈ ચૂક્યાં છે. હવે બે પિતરાઈ ભાઈઓ અને તેમના ફોઈનો દીકરો અને દીકરી એમ એકસાથે 4 બાળકો દીક્ષા લેશે. સુરત દીક્ષા નગરીનું બિરૂદ પણ મેળવી ચુક્યું છે.
મૂળ બનાસકાંઠાના વતની હસમુખભાઈ દોશી પરિવાર સાથે છેલ્લા ઘણાં વર્ષોથી સુરતમાં રહે છે. હસમુખભાઈ દોશીને ત્રણ પુત્ર છે. જેમાંથી સૌથી નાના પુત્રએ 17 વર્ષ પહેલા જ દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. 1 ફેબ્રુઆરીએ હવે તેમના બે દીકરાના દીકરાઓ અને દીકરીની દીકરી અને દીકરો દીક્ષા લઈને સંયમના માર્ગે જવાના છે. હસમુખ ભાઈના મોટા દીકરા ચિરાગનો એકનો એક 14 વર્ષનો દીકરો યશ અને બીજા દીકરા રોશનનો 13 વર્ષનો દીકરો પરમ દીક્ષા ગ્રહણ કરશે.
એક બાળક ધોરણ 7 અને બીજો બાળક 6 ધોરણમાં અભ્યાસ કરે છે. ક્રિકેટના શોખીન આ બાળકોના પિતા કાપડનો બિઝનેસ કરે છે. ક્રિકેટ અને ટીવી જોવાનો શોખ ધરાવતાં બાળકોએ દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. હાલ પરિવારમાં લગ્ન જેવો માહોલ છે.
આ સાથે યશ અને પરમના ફોઈ જીગ્નાબેનને બે બાળકો છે જેમાં 16 વર્ષની ભક્તિ અને 12 વર્ષના અર્ચ છે. આ બંન્ને બાળકો પણ દીક્ષા લઈને સંયમના માર્ગે જવાના છે. અર્ચ ક્રિકેટ જોવાના અને ભક્તિ ટીવી સીરિયલ જોવાની શોખીન છે. બંને આ શોખ છોડીને હવે સંયમનો માર્ગ પકડશે. અત્યા સુધી બંન્નેએ લક્ઝુરિયસ લાઈફ જીવી લીધી પરંતુ હવે દીક્ષા લેશે. ભક્તિ અને અર્ચના પિતા ડાયમંડના વેપારી છે.
હસમુખભાઈ દોશી મૂળ બનાસકાંઠાના વતની છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા એક દીકરી છે. હસમુખભાઈનો એક પુત્ર 17 વર્ષ પહેલાં જ દીક્ષા લઈને સંયમના માર્ગે નિકળી ગયો છે. હવે તેમના બે દીકરાના સંતાનો અને તેમના દીકરીના સંતાનો દીક્ષા લેવાનું નક્કી કર્યું છે હવે તેઓ સંયમના માર્ગે જવાશે. જોકે મહત્વની વાત એ છે કે, એક વર્ષ પહેલા આ બાળકો એક હજાર કિલોમીટર વિહાર કરી ચૂક્યા છે જ્યારે તેમજ બાળકો દરરોજ છ કલાક મૌન રહેવાની આદત પણ ધરાવે છે.
શું થાય છે દીક્ષાનો અર્થ?
માત્ર ઉકાળેલું પાણી પીવાનું. પગરખાં નહીં પહેરવાના. લાઈટ-પંખા કે એસીનો ઉપયોગ કરવાનો નહીં. તમામ ઈચ્છાઓનો ત્યાગ કરીને ગુરૂજીના માર્ગદર્શન હેઠળ ચાલાવાનું. ઘરે-ઘરે જઈને ભોજન માગવાનું, જાતે જમવાનું બનાવવાનું નહીં. બધાં જ વાળ કઢાવી નાખવાના અને દર 6 મહિને વાળ ખેંચીને તોડી નાખવાના. સફેદ વસ્ત્રો પહેરાવાના.