સુરત: ગુજરાતમાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઈ-વેવાણ પ્રેમ પ્રકરણનાં કિસ્સામાં વધુ એક નવો વળાંક સામે આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યાર બાદ વેવાઈ સુરતના કડોદરા પોલીસ સ્ટેશન હાજર થયા હતાં જ્યાં બન્નેએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. વેવાઈ અને વેવાણ પોલીસ સ્ટેશને હાજર થતાં પ્રેમ પ્રકરણનો અંત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મહત્વની વાત છે કે, વેવાણને પતિએ અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
ભાગી ગયેલા વેવાઈ મોડી રાતે કડોદરા પોલીસ સ્સટેશને હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાનું નિવેદન નોંધાવતાં કહ્યું હતું કે, મારા દીકરાની સગાઈ તૂટવાના પ્રયાસ થતાં આબરૂ જવાના ડરે ભાગી ગયા હતા અને હવે અમે પરત ફર્યાં છીએ. વેવાઈ પોલીસ સ્ટેશને આવતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં.
આ પહેલા વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સમક્ષ હાજર થયા હતા જ્યાં તેમણે પોતાનું નિવેદન નોંધાવતાં કહ્યું હતું કે, મારી પોતાની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી અને કહ્યું કે, હું મારી મરજીથી ભાગી ગઈ હતી અને મરજીથી પરત ફરી છું. મને કોઈએ દબાણ કર્યું નથી.
મહત્વની વાત છે કે, વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને વેવાઈ સુરતના કડોદરા પોલીસ સ્ટેશને હાજર થયા હતા. પોલીસ સમક્ષ હાજર થતાં વેવાણને જોવા લોકોનાં ટોળેટાળાં ઉમટી પડ્યાં હતાં. વેવાઈ અને વેવાણની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
રવિવારે મોડીરાત્રે વિજલપોર પોલીસ સ્ટેશને વેવાણના પતિએ પોતાની પાસે રાખવાનો ઈનકાર કરી દીધો હતો ત્યાર બાદ વેવાણે તેના પિતાને જાણ કરી હતી અને વેવાણના પિતા સુરતથી પોતાની પુત્રીને લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વેવાણ પોલીસ સમક્ષ કહ્યું કે, પોતાનાં સંતાનની ચિંતા કરી વેવાઈ સાથે સમજૂતિ કરી પ્રેમ સંબંધ તોડ્યો હોવાની વાત કરી હતી. પોલીસ સ્ટેશને તેમનાં પતિને બોલાવવા પતિએ સમાજમાં ભારે બદનામી થઈ હોય પત્નીનો સ્વીકાર કરવા ઈન્કાર કર્યો હતો.
નોંધનીય છે કે, હાલ 48 વર્ષના વેવાઈ અને 46 વર્ષની ઉંમરના વેવાણ વચ્ચે યુવાનીમાં પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ બંનેના મેરેજ થઈ શક્યા નહતાં. જ્યારે તેઓ નાના હતા ત્યારે સુરતના અમરોલીમાં રહેતા વેવાઈની સામે જ વેવાણ રહેતા હતા. કહેવાય છે કે બંનેએ અલગ-અલગ પાત્રો સાથે લગ્ન કર્યાં હતા ત્યાર બાદ બન્નેનો સંપર્ક તુટી ગયો હતો જોકે અચાનક બન્ને એકબીજાને મળી ગયા હતાં ત્યા બાદ બન્નેએ એકબીજાનો નંબર લીધો હતો ત્યાર બાદ જૂનો પ્રેમ ફરી શરૂ થયો હતો તેવું જાણવા મળ્યું છે.
મહત્વની વાત છે કે, ભાગી ગયેલા કપલે બન્ને સંતાનોના લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યાર બાદ બન્ને સંબંધ નક્કી થતાં પ્રસંગોપાત વારંવાર મળવાનું થતાં વેવાઈ અને વેવાણ વચ્ચે જૂના સંબંધો તાજા થઈ ગયા અને સંતાનોના ભવિષ્યની પણ ચિંતા કર્યાં વગર 10મી જાન્યુઆરીએ બંને ભાગી ગયા હતાં. આ કિસ્સાએ માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટનાને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.