‘સિંઘમ’ તરીકે જાણીતા IPS બસંત રથે એવું તે શું કર્યું કે સરકારે તેમને કાયમી માટે ઘરે બેસાડી દીધા?
આ છે બસંત રથ, વર્ષ 2000ની બેચના IPS, જેમને ખૂબ જ ખરાબ વ્યવહાર અને આચરણને કારણે સમય પહેલા જ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના ‘સિંઘમ’ તરીકે જાણીતા સસ્પેન્ડેડ IPS અધિકારી બસંત રથને સમય પહેલા નિવૃત્તિનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બસંત રથના સસ્પેન્શનને આગામી છ મહિના માટે લંબાવ્યું હતું. જુલાઈ 2020માં પહેલી વખત બસંત રથને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં તેમના ખરાબ વર્તનનો ઉલ્લેખ કરાયો હતો.
સમય પહેલા નિવૃત્ત થયેલા બસંત રથ વર્ષ 2000 બેચના અરુણાચલ પ્રદેશ, ગોવા-મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેડરના ભારતીય પોલીસ સેવા અધિકારી છે. ગૃહ મંત્રાલયની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ જનહિતમાં તાત્કાલિક અસરથી બસંત રથને નિવૃત્ત કર્યા છે.
8 જુલાઈ, 2020ના બસંત રથને જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ પર ગંભીર આરોપો લગાવવા અને વિભાગમાં અનુશાસનહીનતા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના સસ્પેન્શન પર બસંત રથે તેમની સાથે ભેદભાવ કરવા બદલ ડીજીપી સિવાય કેન્દ્રીય ગૃહ સચિવ પર નિંદાત્મક ટિપ્પણી કરી હતી. તેમજ ડીજીપી સામે તેમની હત્યાનું કાવતરું ઘડવાની ફરિયાદ કરી હતી.
બસંત રથે મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2022 જૂન-જુલાઈમાં સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી, પરંતુ સત્તાના નશામાં ધૂત એક અમલદારની જેમ મુખ્ય સચિવે તેમની અરજી સાંભળી ન હતી. બસંત રથે મુખ્ય સચિવને લખેલા પત્રમાં કહ્યું હતું- ‘જો કેન્દ્રીય સચિવ મારી ભલામણ ન કરે તો આ વખતે તમે મારા પર કૃપા કરી શકો છો. આપણે 2018માં પડોશી હતા.
બસંત રથે મુખ્ય સચિવને લખેલા પત્રમાં કહ્યું હતું – તમારા દીકરાના વ્યાવસાયિક કાર્ય માટે શુભેચ્છાઓ. મારા એક વકીલ મિત્રએ તમારી પ્રામાણિકતાની અનેક વાતો કહી છે. શું આમાં કોઈ ઘટાડો થયો છે, હું તેને લઈને નિશ્ચતિ નથી.