મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા બેન એટલે કે દિશા વાકાણી સિરિયલના રાખી સ્પેશિયલ એપિસોડમાં આવે તેવી શક્યતા છે. ટીવીની આ કોમેડી ક્વીને લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. એક્ટ્રેસ તરીકે દિશા વાકાણીએ એટલું સારું કામ કર્યું છે કે તેને લોકો દયાબેન તરીકે જ ઓળખે છે. તેમની બોલવાની સ્ટાઈલથી લઈ હસવાની રીત લોકો આ બાબતને કોપી કરવાનું પસંદ કરતા હોય છે. જોકે દિશા વાકાણીને આ સફળતા 2008માં મળી જ્યારે ‘તારક મેહતા..’ નો પ્રારંભ થયો. તે સીરિયલ બાદથી જ દિશાને દયાબેન તરીકે નવી ઓળખ મળી.
2008 અગાઉ દિશા વાકાણીનું જીવન કેવું હતું અને તે ક્યાં હતી તે અંગે લોકો વધુ જાણતા નથી. દિશાએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ‘તારક મેહતા..’ અગાઉ લોકો વધુ તેની વિશે જાણતા નહોતા. અમદાવાદમાં જન્મેલી દિશાએ થિએટર કરી એક્ટિંગ જગતમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ તેનો અનુભવ કંઈ ખાસ નહોતો રહ્યો.
દિશાએ જણાવ્યું હતું કે, ઘણીવાર તેને પોતાના કામ માટે પૈસા મળતા નહોતા. ઘણીવાર પૈસા મળી જતા તો કામ બકવાસ રહેતું. પરંતુ દિશા તે સમયે એટલી લોકપ્રિય નહોતી કે તે પોતાની ઈચ્છા પ્રમાણેનું કામ મેળવી શકે. આ જ કારણે દિશાએ 1997માં એક બી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું. તે ફિલ્મનું નામ હતું ‘કમસિનઃ ધ અનટચ્ડ’આ ફિલ્મમાં દિશા એવા અવતારમાં જોવા મળી જેવા અવતારમાં તેને ભાગ્યે જ ક્યાંક જોવામાં આવી હશે. તેનું કરેક્ટર પણ ઘણું બોલ્ડ હતું.
લોકો વિચારતા હશે કે દિશાને પોતાના જીવનના આ પાસાં વિશે વિચારીને ઘણું ખરાબ લાગતું હશે. પરંતુ દિશા પોતાના વાસ્તવિક જીવનમાં ઘણી પોઝિટિવ છે. તે માને છે કે, તેણે મુશ્કેલ સમયમાં ઘણું નવું શીખ્યું છે. તેની મહેનતના કારણે જ ‘તારક મેહતા..’ જેવા સફળ શોનો ભાગ બની શકી. તેમાં સતત 9 વર્ષ કામ કર્યા બાદ દિશાએ શોમાંથી બ્રેક લીધો. કારણ તેમની દીકરી છે, પરંતુ અમુક અહેવાલ અનુસાર દિશા અને શોના મેકર્સ વચ્ચે પણ અમુક મતભેદ હતા.
ફેન્સ ઘણા સમયથી દિશા વાકાણીના કમબેકની રાહ જોઈ રહ્યાં છે અને ઘણીવાર દિશાના પરત આવવાના સંકેત મળ્યા પરંતુ દરવખતે ફેન્સ નિરાશ જ થયા.