વુહાનઃ કોરોના અંગે રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વાઈરસે સામાન્ય લોકોના જીવનને બરબાદ કર્યા છે. સંક્રમણ એટલી ઝડપે ફેલાયું કે સમગ્ર વિશ્વ આખું તેને અડફેટે આવી ગયું. જોકે તેની સારવાર માટે કોઈ ખાસ સારા સમાચાર હજુ સુધી આવ્યા નથી એમ કહી શકાય. આ વાઈરસ ચીનથી ફેલાયો. જોકે તે અંગે પણ ઘણા તર્ક આપવામાં આવી રહ્યાં છે.
કેટલાકના મતે, તે ચીનના મીટ માર્કેટથી ફેલાયું તો કેટલાક માને છે કે વાઈરસ વુહાનની લેબમાં તૈયાર થયાનો આરોપ લગાવ્યો. હવે કોરોના અંગે વૈજ્ઞાનિકોએ નવો દાવો કર્યો છે. તેમના મતે વાઈરસ ગત વર્ષે નહીં પરંતુ 8 વર્ષ અગાઉ જ ફેલાયો હતો. જોકે ત્યારે સંક્રમણ આટલી ઝડપે નહોતું ફેલાયું અને માત્ર 3 લોકોના જીવ લીધા બાદ તે અટકી ગયો હતો. જોકે આ વખતે તે આગની જેમ ફેલાયો છે.
વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, કોરોના વાઈરસ ચીનના વુહાનના મીટ માર્કેટથી નહીં પરંતુ સોનાની ખાણમાંથી ફેલાયો હતો. આ ખાણ ચીનના યુનાન પ્રદેશમાં આવેલી છે. આ ઉપરાંત વાઈરસ ગતવર્ષે નહોતો ફેલાયો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, 2008માં યુનાનની મોજીઆંગ ખાણમાં કામ કરતા 6 મજૂરોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમના જે સેમ્પલ મળ્યા છે તેનાથી આ વાતની પૃષ્ટિ થઈ છે.
આ 6 મજૂરોમાંથી 3ના મોત થયા હતા. આ મજૂરો ચામાચીડિયાની પૉટી (મળમૂત્ર)ની સફાઈ કરી રહ્યાં હતા અને તે સમયે જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પરંતુ આ વાઈરસને ત્યારે શરદી-ખાંસી માનવામાં આવ્યો. જોકે હવે તે સમયની મેડિકલ રિપોર્ટ સામે આવી ત્યારે જાણ થઈ કે તેમને કોરોના જ થયો હતો.
ધ સન અખબારમાં પબ્લિશ થયેલા અહેવાલ અનુસાર, આ 6 મજૂરોની સારવાર કરનાર ફિઝિશિયન લી સૂએ જણાવ્યું કે, તે તમામ મજૂરોને તાવ હતો. આ ઉપરાંત સુંકી ખાંસી અને શરીરમાં દુખાવો થવાની સમસ્યા હતી. તે સમયે આ વાઈરસને વાઈરલ સમજવાની ભૂલ થઈ પરંતુ હવે પૃષ્ટિ થઈ છે કે તેમને કોરોના જ થયો હતો.
હાલ આ સંપૂર્ણ ઘટનાની તપાસ વાયરોલોજીસ્ટ જોનાથન લાથમ અને તેમની સાથે કામ કરતા એલિસન વિલ્સન કરી રહ્યાં છે. બંને એ ડૉક્ટરની થિસિસનો અભ્યાસ કરી રહ્યાં છે જેમણે આ મજૂરોની સારવાર કરી હતી. સત્તાવાર રીતે આ વાઈરસનો પ્રારંભ ક્યાંથી થયો હતો તે અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે.
વાયરોલોજીસ્ટ લાથમે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે આ વાઈરસ લેબ થકી ફેલાવવામાં આવ્યો હતો. માત્ર પુરાવાઓ મળવાની વાર છે. આ ઉપરાંત નવા એહવાલના સામે આવ્યા બાદ તેમણે પોતાની તપાસને ઝડપી બનાવી છે. હવે તેઓ તે મજૂરો અને તેમની સારવાર કરનાર ડૉક્ટરના સેમ્પલ લેવાના પ્રયાસમાં છે.
જો 8 વર્ષ અગાઉની ઘટના સાચી છે તો અત્યારસુધી કરેલી તમામ તપાસ નિષ્ફળ જશે. જોકે સોનાની ખાણમાંથી પણ ચામાચીડિયાનું કનેક્શન સામે આવ્યું છે. હાલ કોરોના સંબંધિત સૌથી સ્પષ્ટ તર્ક વુહાનનો વેટ માર્કેટનો છે, જ્યાંથી ડિસેમ્બર 2019માં વાઈરસ ફેલાયા હોવાનું મનાય છે. અહીં જાહેરમાં ચામાચીડિયાનું માંસ વેચાતા હોવાની વાત સામે આવી હતી, જેનાથી જ માણસોમા કોરોના ફેલાયો.