‘સાસ ભી કભી બહુ થી’ અને ‘કહાની ઘર-ઘર કી’ સીરિયલથી જાણીતા ટીવી ઇન્ડસ્ટ્રીના એક્ટર અને મોડલ સમીર શર્માએ બુધવારે રાતે આપઘાત કરી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 44 વર્ષના સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે કપડું બાંધી ફાંસી લગાવી લીધી. તેઓ મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર નેહા સીએચએસ નામની બિલ્ડિંગમાં રહેતા હતા.
સમીર છેલ્લા 15 વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યાં હતા. તેઓએ 2005માં દિલ ક્યા ચાહતા હે સીરિયલથી ડેબ્યુ કર્યું હતું. 2014માં તે ફિલ્મ હંસી તો ફંસીમાં પણ નજર આવ્યા હતા. મુંબઇની બોલીવૂડ-ટીવી એન્ટરટેનમેન્ટમાં જુનના મહિનાથી અત્યારસુધીમાં ચોથા કલાકારે આપઘાત કર્યો છે. આ પહેલા સેલેબ મેનેજર દિશા સાલિયાન, સુશાંત સિંહ રાજપૂત અને ક્રાઇમ પેટ્રોલની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાના મૃત્યુ થયા છે.
રિપોર્ટ પ્રમાણે બોડીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે અભિનેતાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. હિન્દી ન્યૂઝપેપર સાથે વાતચીત દરમિયાન પોલીસ ડેપ્યુટી કમિશનર વિશાલ ઠાકુરે જણાવ્યું કે ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી આથી કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
બુધવારની રાતે નાઇટ ડ્યુટી દરમિયાન ચોકીદારે સમીરની બોડી લટકતી જોઇ અને સોસાયટીના લોકોને જાણ કરી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘરનો દરવાજો ફાયર બ્રિગેટની મદદથી ખોલવામાં આવ્યો કારણ કે તે અંદરથી બંધ હતો.
મલાડ પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર જ્યોર્જ ફર્નાડિઝે કહ્યું કે ઘટનાસ્થળેથી મળેલા પૂરાવાને જોતા હજુ એક્સીડેન્ટલ મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જેવો રિપોર્ટ આવશે તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.
સમીર શર્માના આપઘાત પાછળ પણ બીમારી અને ડિપ્રેશનમાં હોવાના સંકેત મળી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની પત્નીથી અલગ રહેતા હતા અને ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર તેઓએ પોતાના ડિપ્રેશનમાં હોવાના સંકેત આપ્યા હતા. સમીર છેલ્લા એક સપ્તાહથી સોશિયલ મીડિયાથી દૂર હતા. ઇંસ્ટાગ્રામ પર તેમની 27 જુલાઇની પોસ્ટમાં તેઓએ એક કવિતા શેર કરી હતી જેની લાઇન હતી મેં પોતાની ચિતા બનાવી અને તેના પર સૂઇ ગયો.
ચિતા અને મોત સાથે જોડાયેલી કવિતાના બીજા જ દિવસે સમીરે આકાશમાં બ્લૂ વાદળો અને નીચે શાંત સમુદ્રવાળી તસવીર શેર કરી. આ તસવીરમાં એક તરફ કાંઠો છે તો બીજી તરફ મુંબઇની હાઇરાઇટ્સ બિલ્ડિંગ છે. આ તસવીરમાં ન કોઇ વ્યક્તિ છે અને ન તો કોઇ પક્ષી. આ તસવીરને જોઇ તેમના ડિપ્રેશનની સ્થિતિનો અનુભવ થાય છે.
સમીર શર્મા મૂળ દિલ્હીના રહેવાસી હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ બેંગલૂરુ જતા રહ્યાં હતા અને તેઓએ ત્યાં પહેલા એડ એજન્સીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ એક્ટિંગની દુનિયામાં કિસ્મત અજમાવવા માટે મુંબઇ આવી ગયા હતા. સમીરે અચલા શર્મા સાથે લગ્ન કર્યા અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા.
સમીરે દિલ ક્યા ચાહતા છે, સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, યે રિશ્તા હે પ્યાર કા, લેફ્ટ રાઇટ લેફ્ટ, જ્યોતિ, ગીત હઇ સબસે પરાઇ, વો રહેને વાલી મહલો કી, આયુષ્માન ભવઃ ઇસ પ્યાર કો ક્યાં નામ દુ ? વગેરે શોમાં નજર આવ્યા હતા. સમીરની ડેબ્યુ ફિલ્મ હિંસી તો ફંસી હતી. સમીર ઇત્તેફાક મૂવીમાં પણ નજર આવ્યા હતા.