વિદિશા, મધ્યપ્રદેશ: અહીના ગામનું દશકો પ્રાચીન પીપળાનું વૃક્ષ હાલ લોકો માટે એક કુતુહલનો વિષય બની ગયું છે. 2 મહિના પહેલા અહીં ફૂકાયેલા ભારે પવનના કારણે જુનુ આ વૃક્ષ ધરાશાયી થઇ ગયું. પરંતુ છેલ્લા થોડા દિવસ પહેલા તે અચાનક ઉભું થઇ ગયું. આ વાત સાંભળીને અહીં લોકો કુતુહલવશ વૃક્ષને જોવા માટે ઉમટી પડ્યાં છે. પ્રશાસને પણ એક ટીમ ત્યાં રવાના કરી છે. તંત્રનું માનવું છે કે, આ એક ભૌતિક ઘટના છે.
વૃક્ષની ડાળીઓ કપાઇ જતાં તેનું વજન ઓછું થઇ ગયું હશે. જેના કારણે વૃક્ષ સીધું થઇ ગયું છે. એટલે એક બાજુ વજન વધી જતાં એક જ બાજુ નમેલુ ઝાડ વજન ઓછું થઇ જતાં સીધુ થઇ ગયું છે. હાલ કોરોના કાળમાં આ વૃક્ષને જોવા માટે કુતુહલવશ લોકો ભેગા થઇ રહ્યાં છે. ત્યારે તંત્રએ લોકોને વૃક્ષ નજીક જવાની મનાઇ કરી દીધી છે. આ ઘટના મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના છપારા ગામની છે. માતાજીના મંદિરના પરિસરમાં આ પીપળાનું વૃક્ષ છે. જાણીએ શું છે સમગ્ર ઘટના.
વૃક્ષની આવી રહસ્યમય ઘટના બન્યા બાદ તંત્ર દ્રારા તપાસ કરવા માટે એક ટીમ અહીં મોકલાઇ હતી. જેમણે સ્વીકાર્યું કે, આ વૃક્ષ 2 મહિના પહેલા 4 ફૂટની દિવાલ પર પડ્યું હતું. જેના કારણે એક ફૂટ સુધી દીવાલ પણ તૂટી ગઇ હતી. થડથી દીવાલ સુધી ઝાડની લંબાઇ લગભગ 7 ફૂટ સુધીની હશે. આ સ્થિતિમાં થડથી દીવાલ સુધી વૃક્ષ 30 ડિગ્રી નમી પડ્યું હશે. વૃક્ષ ધરાશાયી થયા બાદ લોકોએ તેમની ડાળખીઓ કાપી લીધી હતી. જેના કારણે થડ બાજુનું વજન ઉપરની ટોચના ભાગ કરતા વધી ગયું. જેના કારણે ગુરુત્વાકર્ષણ બળના કારણે વૃક્ષ સીધું થઇ ગયું.
જો કે લોકો આ ઘટનાને આસ્થાથી જોઇ રહ્યાં છે અને વૃક્ષની પૂજા અર્ચના કરવા પહોંચી રહ્યાં છે. આસપાસના ગામમાં પણ ઘટનાની જાણ થતાં લોકો વૃક્ષના દર્શન અને પૂજા અર્ચન કરવા અહીં મોટી સંખ્યામાં આવે છે.
લોકોનું કહેવું છે. કે મંદિરના પરિસરમાં ઉગેલું આ વૃક્ષ ખૂબ જ પ્રાચીન છે અને મંદિરના પરિસરમાં હોવાથી તેમની બહુ સમયથી લોકો પૂજા કરતા આવ્યાં છે. આ ઘટના બાદ લોકોની આસ્થા વધી ગઇ છે. જો કે હાલ કોરોના સંકટને કારણે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને મંદિરમાં વધુ ભીડ ન થાય તેની તકેદારી લેવાઇ રહી છે.
હાલ તો આ પ્રાચીન વૃક્ષ લોકો માટે એક આસ્થાનો વિષય બની ગયો છે તો બીજી તરફ વૈજ્ઞાનિકો આ ઘટના માટે ગુરુત્વાકર્ષણ બળના નિયમને જવાબદાર ગણાવે છે.