મજૂરોના ચહેરા પર હતી ખુશી પણ કાળ બનીને આવ્યો સમય ને પલકારામાં જ થયું બધું નેસ્તાનાબૂદ
રાયપુર, છત્તિસગઢઃ અકસ્માતની તસવીરો જોઈ ભલભલાનું હૃદય કંપી ઉઠતું હોય છે. તાજેતરમાં થયેલા એક અકસ્માતમાં ટ્રકે બસને પાછળથી એવી ભયંકર ટક્કર મારી કે તેનો ભુક્કો બોલાઈ ગયો. તેમાં મુસાફરી કરી રહેલા મજૂરો હલી પણ શક્યા નહીં, તેઓ બચાવવા માટે બુમો પાડતા રહ્યાં.
આ ખતરનાક દુર્ઘટના શનિવારે, પાંચ સપ્ટેમ્બરના રોજ સવારના 5.30 કલાકે થઈ હતી. આ બસ ઓરિસ્સાથી ગંજામ જઈ રહી હતી. બસ સુરત જવાની હતી પરંતુ છેરીખેડી વિસ્તારમાં અકસ્માત થયો. બસમાં 50 મજૂરો હતા. તેઓ સુરતની કાપડ મીલમાં કામ કરવા માટે નીકળ્યા હતા. અનલૉક બાદ કામ મળવાને કારણે મળેલી ખુશીનો અમુક જ ક્ષણોમાં અંત આવ્યો.
ટ્રકની ટક્કર બાદ બસ એક ભંગારમાં ફેરવાઈ હતી. અકસ્માતમાં 7 મજૂરોનું મોત થયું, જ્યારે 20થી વધુ મજૂરોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રોડ પર પોતાના સાથી મજૂરોના મૃતદેહો જોઈ બાકીના મજૂરો ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા. બસની હાલત એટલી ખરાબ હતી કે રાહત કાર્યમાં જોડાયેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.