મુંબઈઃ વિશ્વ હાલનાં દિવસોમાં કોરોનાની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યુ છે. તેના ચેપને રોકવા માટે ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો સીધો માર ગરીબ લોકોને વાગે છે. તેમને મદદ કરવા માટે, બધા સ્ટાર્સે હાથ લંબાવ્યા છે. હવે આમિર ખાનનું નામ પણ આ સૂચિમાં સામેલ થઈ ગયું છે. તેણે તાજેતરમાં ગરીબોમાં 15-15 હજાર રૂપિયા અને લોટનાં પેકેટનું વિતરણ કર્યું છે. 15-15 હજારની વાત હજી સુધી કન્ફર્મ થઈ નથી. જોકે, ચાહકો દ્વારા આ રીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક્ટર તરફથી આ વાતને કોઈ સમર્થન મળ્યું નથી.
આમિર ખાને લીધો હતો આ નિર્ણયઃ થોડા દિવસો પહેલા, આમિર ખાને પણ બાકીના સ્ટાર્સની જેમ જરૂરિયાતમંદોને સહાય માટે ફંડ અને ખોરાક આપવાનો નિર્ણય કર્યો હતો. પોતાનું વચન પાળીને આમિરે કોવિડ – 19 ની સામે લડતા ફ્રન્ટલાઈન કામદારો અને મેડિકલ સ્ટાફને મદદ કરી રહ્યાં છે. તેમણે બોલીવુડ સ્ટાર્સને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી, ઇન્ટરનેટ પર એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતાએ ગુપ્ત રીતે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે નાણાં વહેંચ્યા છે.
વાયરલ થઈ રહ્યો છે એક્ટરનો વીડિયોઃ ટિકટોક પર વાયરલ થયેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આમિર ખાને 23 એપ્રિલે લોટના પેકેટથી ભરેલી ટ્રક દિલ્હીના અવિકસિત વિસ્તારોમાં મોકલી હતી. ઘણા લોકોએ આ પેકેટો લેવાનો ઇનકાર કર્યો, કારણ કે તેમને લાગ્યું કે તેઓ એક કિલો લોટના પેકેટ સાથે કેવી રીતે ચલાવી શકે? પરંતુ પેકેટો લઈને ગયેલાં લોકો તેમાંથી 15000 રૂપિયા નીકળ્યા બાદ ચોંકી ગયા હતા.
વીડિયોના એન્કરે કહ્યું કે પૈસા ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે, તેથી આમિરે આમ કર્યું છે. કારણ કે એક કિલો લોટ માટે એવાં જ લોકો લાઇનમાં ઉભા રહેશે, જેમને ખરેખર આ લોકડાઉનમાં તેની જરૂર છે. આમિર ખાન બોલિવૂડના એક એવા સેલેબ છે, જે જાહેરમાં તેમના દાન અને સમાજીક સેવાની જાહેરાત કરવામાં માનતા નથી.