એક બાજુ શાહરુખ-રાની જલસા કરતાં હતાં તો બીજી બાજુ કાજોલ અસહ્ય દુઃખમાં રડી રડીને બેહાલ હતી
મુંબઈઃ 14 ડિસેમ્બર, 2001માં ‘કભી ખુશી કભી ગમ’ રિલીઝ થઈ હતી. આ ફેમિલી ડ્રામા ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મને અનેક અવોર્ડ મળ્યા હતાં અને ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો ખુશ હતાં પરંતુ કાજોલ દુઃખમાં હતી. તેણે હાલમાં જ હ્યુમન ઓફ બોમ્બે સાથેની વાતચીતમાં આ અંગે કહ્યું હતું.
બે-બેવાર મિસકેરજ થયું હતું
કાજોલે કહ્યું હતું, લગ્ન બાદ અમે તરત જ બાળકને લઈ પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. 2001 ‘કભી ખુશી કભી ગમ’નું શૂટિંગ પૂરું થયું ત્યારબાદ હું પ્રેગ્નન્ટ હતી. જોકે, જે દિવસે ફિલ્મે વધુ કમાણી કરી તે દિવસ હું હોસ્પિટલમાં હતી. મારું મિસકેરેજ થઈ ગયું હતું. ફિલ્મ સાથે સંકળાયેલા બધા ખુશ હતાં પરંતુ હું રડી રહી હતી. ત્યારબાદ હું બીજીવાર પ્રેગ્નન્ટ થઈ પરંતુ આ વખતે પણ મિસકેરેજ થઈ ગયું. તે સમય ઘણો જ મુશ્કેલ હતો. જોકે, અંતે બધુ જ સારું થયું. ન્યાસા તથા યુગને કારણે અમારો પરિવાર પૂરો થયો.
કેવી રીતે મુલાકાત થઈ?
અમે 25 વર્ષ પહેલાં ‘હલચલ’ના સેટ પર મળ્યા હતાં. હું શોટ માટે તૈયાર હતી. મેં પૂછ્યું કે મારો હિરો ક્યા છે. કોઈએ આંગળી અજય તરફ ચીંધી હતી. તે એક ખૂણામાં બેઠો હતો અને તેને 10 મિનિટ પહેલાં જ મળી. મેં તો મારા ફ્રેન્ડ્સ આગળ અજયની બરોબરની ટીકા કરી હતી. જોકે, પછી અમે સેટ પર રોજ મળતા અને સારા મિત્રો બની ગયા હતાં.
બંને અલગ-અલગ વ્યક્તિને ડેટ કરતા હતાં
તે સમયે હું બીજા કોઈને અને અજય પણ અન્ય કોઈને ડેટ કરતો હતો. હું તે સમયે અજયને મારા બોયફ્રેન્ડની ફરિયાદ કરતી પરંતુ ટૂંક સમયમાં જ અમારું બ્રેકઅપ થઈ થયું. અમે એકબીજાને ક્યારેય પ્રપોઝ કર્યું નથી. અમને ખ્યાલ હતો કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ. અજય જુહૂમાં રહેતો અને હું સાઉથ બોમ્બેમાં રહેતી. અમે લોંગ ડ્રાઈવ તથા ડિનર પર જતાં. અમારા અડધા રિલેશનશિપ તો કારમાં જ ગયા છે. મને મારા ફ્રન્ડ્સે અજયને લઈ ચેતવણી આપી હતી. અમે બંને એકબીજાથી તદ્દન અલગ છીએ.
મારા પિતા તૈયાર નહોતા
ચાર વર્ષના ડેટિંગ બાદ અમે લગ્ન અંગે વિચાર્યું હતું. અજયના પેરેન્ટ્સ તૈયાર હતાં પરંતુ મારા પિતાએ ચાર દિવસ સુધી મારી સાથે વાત કરી નહોતી. તેઓ ઈચ્છતા કે હું કરિયર પર ફોકસ કરું પરંતુ મેં લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.
બે વિધિથી લગ્ન કર્યાં
અમે ઘરમાં જ લગ્ન કર્યાં હતાં અને અમે નહોતા ઈચ્છતા કે મીડિયા દખલગીરી કરે. આથી અમે મીડિયાને ખોટું વેન્યૂ કહ્યું હતું. અમે પંજાબી તથા મરાઠી રીત રિવાજથી લગ્ન કર્યાં હતાં. મને આજે પણ યાદ છે કે અજય લગ્નમાં એટલો કંટાળી ગયો હતો કે તેણે પંડિતને પૈસા આપીને લગ્ન જલ્દી પતાવવાનું કહ્યું હતું.
1999માં લગ્ન કર્યાં
અજય તથા કાજોલે 24 ફેબ્રુઆરી, 1999માં લગ્ન કર્યાં હતાં. બંનેએ ‘ઈશ્ક’, ‘પ્યાર તો હોના હી થા’ તથા ‘યુ મી ઓર હમ’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. હાલમાં જ કાજોલ-અજયની ‘તાનાજી’ રિલીઝ થઈ છે. આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે.