અમદાવાદ : ગુજરાતનો એક દીકરો આ દુનિયાને છોડીને જતા-જતા પણ ચાર વ્યક્તિઓની નવજીવવની ભેટ આપતો ગયો છે. સુરેન્દ્રનગરનો યુવાન બ્રેઈનડેડ થતાં સંબંધીઓએ તેના અંગોનો દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. જેનાથી ચાર વ્યક્તિઓની નવજીવનની ભેટ મળી છે.
મૂળ સુરેન્દ્રનગરનો 19 વર્ષીય કેવલ ભાઇલાલભાઇ પટેલ તેના માતાપિતાનું એકમાત્ર સંતાન હતું. તેણે ગાંધીનગર ખાતે આવેલી કોલેજમાં બેચલર ઑફ સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ લૉકડાઉન લાગૂ કરાયા બાદ તે સુરેન્દ્રનગર જિલ્લાના સરવાલ ગામે પોતાના માતાપિતા પાસે રહેવા ગયો હતો. દરમિયાન કેવલ બુધવારે સવારે ધાંગ્રધા જઇ રહ્યો હતો ત્યારે એક ટ્રક તેની બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો.
કેવલને ઈજાગ્રસ્ત હાલતમાં સિટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. જોકે બાદમાં તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. ત્યાર બાદ માતા-પિતાએ તેમના દિકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં અંગો બ્રેઈનડેડ યુવાનને આઇકેડીઆરસી ખાતે લાવવામાં આવ્યો હતો.
મૃતક યુવક પાસેથી બે કિડની, એક લિવર, સ્વાદુપિંડ અને હૃદયનું એમ ચાર અંગોનું દાન મેળવવામાં આવ્યું હતુ અને આ અંગોને ચાર વ્યક્તિઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે, તેમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેવલનું હાર્ટ સુરતના શ્રીપાલ લાલન નામની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
આઇકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું હતુ, “અમે માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કર્યું અને તેમને જણાવ્યું કે ગ્લાસગ્વો પરીક્ષણમાં નક્કી કરાયેલી શરતો મુજબ તે મગજથી મૃત હોવાથી તેના જીવંત થવાની કોઇ સંભાવના નથી.” ડૉક્ટોરે વધુમાં જણાવ્યું હતું કે કેવલના સગા-સંબંધીઓ અને માતાપિતા અંગ દાનના મહત્વને સમજતા હતા. તેમના પુત્રના અંગોના દાન થકી તે હવે ચાર જુદી-જુદી વ્યક્તિઓમાં જીવંત રહેશે.