નવી દિલ્હી: ભારતીય નાગરિકો માટે મતદાર ઓળખ કાર્ડ તેમની ઓળખનો મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આ કાર્ડ ભારતનાં ચૂંટણી પંચ તરફથી રજૂ કરવામાં આવે છે. તેને બનાવવામાં ઘણી સાવધાની રાખવામાં આવે છે. તેમ છતાં મતદાર ઓળખ કાર્ડમાં ઘણીવાર મતદાતાઓના નામ અને એડ્રેસ ખોટા હોવાની વાત સામે આવે છે, પરંતુ કોઈ મતદારનો ફોટો જ ખોટો હોવાની વાત કદાચ જ તમે સાંભળી હશે.
ભૂલ પણ એવી કે, મતદારની જગ્યાએ શ્વાનનો ફોટો લગાવી દીધો, છેને ચોંકાવનારી વાત. વાસ્તવમાં આ મામલો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો છે. જ્યાં રામનગર ગામના રહેવાસી સુનીલ કર્માકરના ફોટાની જગ્યાએ એક શ્વાનનો ફોટો લગાવી દીધો છે. કર્માકરનું કહેવું છેકે, આ તેમના સમ્માન સામે રમત કરવામાં આવી છે. તો બીજી તરફ, બીડીઓએ જણાવ્યુકે, કર્માકરનો ફોટો સુધારી દેવામાં આવ્યો છે. અમે તેમને જલ્દીથી નવું આઈડી કાર્ડ આપવામાં આવશે.
ચુંટણીપંચે કર્યુ મારું અપમાન : એક ખાનગી ન્યૂઝ એજન્સી મુજબ, કર્માકરે જણાવ્યુ, તેમણે મતદાર ઓળખ કાર્ડમાં સુધારા માટે અરજી કરી હતી. જે બાદ નવું ઓળખ કાર્ડ મળ્યુ હતુ, જેમાં તેમની જગ્યાએ શ્નાનનો ફોટો લગાવેલો હતો. તેમણે જણાવ્યુકે, મંગળવારે મને દુલાલ સ્મૃતિ સ્કૂલમાં બોલાવવામાં આવ્યો હતો અને મતદાર ઓળખ કાર્ડ આપવામાં આવ્યુ હતુ. અધિકારીએ હસ્તાક્ષર કરીને મને કાર્ડ આપ્યુ હતુ, પરંતુ તેમણે ફોટો જોયો ન હતો. ચૂંટણી પંચે મારું અપમાન કર્યુ છે. કહેવાઈ રહ્યું છે કે, મતદાર ચૂંટણી પંચની સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
જલ્દી આપવામાં આવશે સુધારેલું નવું કાર્ડ : મતદાન કાર્ડમાં ખોટો ફોટો લગાવવાના મામલો સામે આવ્યા બાદ બીડીઓએ કહ્યુ, આ તેમનું ફાઈનલ મતદાન ઓળખ કાર્ડ નથી. જો કોઈ ભૂલ હશે, તો તેને સુધારવામાં આવશે. જ્યાં સુધી શ્વાનનાં ફોટાની વાત છે તો, આ તે વ્યક્તિ દ્વારા અપલોડ થઈ ગયો હતો, જેણે ઓનલાઈન અરજી કરી હતી. ફોટામાં સુધારો કરી દેવામાં આવ્યો છે. તેમને સુધારેલાં ફોટાની સાથે ફાઈનલ આઈડી કાર્ડ મળી જશે.
સુધારો કર્યો હોવા છતાં ફોટો કેવી રીતે છપાયો તેની જાણ નથી : મતદાર ઓળખ પત્રમાં ભુલો સુધારવામાં સામેલ અધિકારી રાજાર્ષિ ચક્રવર્તીએ કહ્યુ, ભૂલ સુધારતી વખતે ફોટા પર ધ્યાન ગયુ હતુ, જેને બાદમાં સુધારવામાં પણ આવ્યો હતો. પરંતુ બાદમાં શ્વાનનો ફોટો કેવી રીતે આવ્યો તેની જાણકારી નથી. જોકે, આગામી દિવસોમાં તેમને નવું વોટર આઈ કાર્ડ આપી દેવામાં આવશે.