ભારતમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 27 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 51 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો કરતા આ આંકડો ઘણો ઓછો છે. અમેરિકામાં સૌથી વધુ ચેપના કેસો છે. અત્યાર સુધીમાં 54 લાખ 78 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે એક લાખ 71 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે, બ્રાઝિલમાં ચેપનો કેસ 33 લાખને વટાવી ગયો છે, તો અહીં અત્યાર સુધીમાં એક લાખ આઠ હજારથી વધુ લોકોના મોત નોંધાયા છે. આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે કોરોના વાયરસ ક્યારે નબળો પડશે? રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત તે સ્થિતિની નજીક આવી રહ્યું છે, પરંતુ તેમાં થોડો વધુ સમય લાગશે. થોડા સમય પહેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જો લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થાય તો કોરોના વાયરસને ખતમ કરવો સરળ થઈ શકે છે.
હર્ડ ઈમ્યુનિટી શું છે?
જો કોઈ રોગ કોઈ દેશ અથવા વિશ્વની વસ્તીના મોટા ભાગમાં ફેલાય છે અને માનવીની રોગપ્રતિકારક શક્તિએ રોગના ચેપના પ્રસારને રોકવામાં મદદ કરે છે, તો પછી જે લોકો આ રોગ સામે લડીને સંપૂર્ણ રીતે સ્વસ્થ તઈ જાય છે, તેમનામાં રોગપ્રતિકારક ગુણ વિકસિત થઈ જાય છે. આનો અર્થ એ છે કે આવા લોકોના શરીરમાં વાયરસ સામે લડવામાં સક્ષમ એન્ટિબોડીઝ તૈયાર થાય છે. તેને હર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે.
હર્ડ ઈમ્યુનિટીનો શું લાભ થાય છે?
હકીકતમાં, જેમ જેમ લોકો આ રોગ સામે લડીને સ્વસ્થ થાય છે, એટલે કે, તેમનામાં રોગપ્રતિકારક ગુણધર્મો વિકસિત થાય છે, તેમ તેમ ચેપ ફેલાવાનું જોખમ ઓછું થાય છે. આનાંથી એવા લોકોને પણ સુરક્ષા મળી જાય છે, જેમને ચેપ લાગ્યો નથી. અમેરિકન હાર્ટ એસોસિએશનના ચીફ મેડિકલ ઓફિસર ડો. એડ્ડઆર્ડો સાંચેઝના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં સમય લાગે છે.
ભારત હર્ડઈમ્યુનિટીથી કેટલો નજીક છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 60 થી 70 ટકા વસ્તીમાં હર્ડ ઈમ્યુનિટી માટે એન્ટિબોડીઝ હોવા જોઈએ. ભારતમાં હર્ડ ઈમ્યુનિટી માટે સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે. થાઇરોકેર લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર આરોકિયાસ્વામી વેલુમણીના જણાવ્યા મુજબ, હાલમાં દેશમાં આશરે 24 ટકા વસ્તીમાં કોરોના વાયરસની એન્ટિબોડીઝ મળી છે. જોકે ભારત હજી આ સ્થિતિથી ઘણું દૂર છે, પરંતુ રિપોર્ટ કહે છે કે 45% સીરો-પોઝિટિવિટી પર ચેપનું જોખમ ઘટવા લાગે છે.
સૌથી પહેલાં ભારતનાં ક્યાં શહેરોમાં આવી શકે છે હર્ડ ઈમ્યુનિટી?
જેમકે, દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ચેપગ્રસ્ત થયા અને સ્વસ્થ પણ થયા છે. એવામાં નિષ્ણાતોનું માનવું છેકે, સૌથી પહેલાં હર્ડ ઈમ્યુનિટી આ શહેરોમાં જ આવી શકે છે. દિલ્હીનાં પહેલાં સીરો સર્વે મુજબ, ટેસ્ટ કરાયેલાં લોકોમાં 23% સીરો પોઝીટીવ હતા, બીજો સીરો સર્વેના પરિણામ આ સપ્તાહે આવી શકે છે. મુંબઈમાં ઘણા વિસ્તારોમાં 50%ની નજીક સીરો પોઝિટીવીટી જોવા મળી છે.