મુઝફ્ફપુર(બિહાર): રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મ પર 1400 રૂપિયા અને આશા વર્કરને 600 રૂપિયા આપવાની વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં બિહારના મુઝફ્ફરપુરમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. હદ તો ત્યાં થઇ ગઇ કે, અહીં 65 વર્ષની વૃદ્ધ મહિલાને 13 મહિનાની અંદર 8 બાળકોના જન્મ થયા હોય તેવું બતાવીને સરકારી પૈસાને ચાઊં કરી જવાયા છે. આરોપ તો ત્યાં સુધી લાગી રહ્યો છે કે, 2018થી આ યોજનામાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે.
20 વર્ષથી કોઇ બાળકનો જન્મ નથી થયો
મુઝફ્ફપુરની નજીક મુશહરી પ્રખંડની નાની કોઠિયા ગામમાં રહેનાર શાંતિ દેવી, લીલા દેવી અને સોની દેવીના ખાતામાં 1400 રૂપિયાના હિસાબે પ્રોત્સાહન રકમ મોકલાઇ છે. જેમાં 65 વર્ષ પાર કરી ચૂકી શાંતિ દેવીના ખાતામાં 6 વખત તો લીલા દેવીના ખાતામાં 8 વખત 1400 રૂપિયાની પ્રોત્સાહન રકમ મોકલાઇ છે. આશ્રર્યની વાત તો એ છે કે, પૈસા 13 મહિનાની અંદર દેવાયા છે, જો કે તપાસમાં એ વાત સામે આવી રહી છે કે, શાંતિ દેવીને 20 વર્ષથી તો લીલા દેવીને 8 વર્ષથી કોઇ બાળકનો જન્મ નથી થયો.
આશા કાર્યકર્તા પણ અજાણ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં બાળકના જન્મ પર મહિલાને 1400 રૂપિયા અને આશા કાર્યકર્તાઓને 600 રૂપિયા આપવાની વ્યવસ્થા છે. જો કે આ વિસ્તારમાં મહિલાઓના જે ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યાં છે, તે મહિલાઓ ગર્ભવતી હોવાની જાણ આશા વર્કરને નથી. તપાસમાં આ વાત સામે આવી છે કે, સીએપસપી સેન્ટર પર ફિંગર પ્રિન્ટમશીનથી આ ખાતામાંથી રકમ વિથડ્રો કરવાની સિસ્ટમ છે. અહીં આ કૌભાંડમાં બે શક્યતાઓ જોઇ શકાય છે. કાં તો ખાતેદારના ફિંગર પ્રિન્ટ લઇને રકમ વિથડ્રો કરી લેવાતી હોવી જોઇએ અથવા તો કોઇ અન્યના ખાતામાં આ રકમ ટ્રાન્સફર પણ કરી શકાય છે.
પીએચસી પાસેથી રિપોર્ટ મંગાવાઇ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. મુઝફ્ફપુરના સિવિલ સર્જન ડોક્ટર એસપી સિંહે મુઝફ્ફપુરના બધા જ 16 પીએચસી પાસેથી આ યોજના સાથે જોડાયેલ ડોક્યૂમેન્ટ્સ મંગાવ્યાં છે. 2016 સુધી આ યોજનાનું ઓડિટ થયું હતું. જો કે ત્યાં સુધી કોઇ પ્રકારની ગરબડ સામે ન હોતી આવી. જો કે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ એ સાબિત થઇ ગયું છે કે, આ મામલે 2018થી મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ યોજનામાં વારંવાર એવા મહિલાઓના ખાતામાં 1400 રૂપિયાની રકમ જમા કરાવાઇ છે. જે આ યોજનાની લાભાર્થી હતી જ નહીં.
સમગ્ર ઘટનાનું કૌભાંડ સામે આવ્યા બાદ બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ સ્વાસ્થ્ય વિભાગને ઇડી મનોજ કુમારને તપાસની જવાબદારી સોંપી છે. બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું છે કે, આ મામલે તટસ્થતાથી તપાસ થશે અને દોષીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે આ મુદ્દે તપાસ ક્યારે અને કેવી થશે અને કોણ દોષી હશે તે તપાસ બાદ જાણ થશે પરંતુ આ મુદ્દે એક વાત તો ચોક્કસ કહી શકાય કે., મહત્વાકાંક્ષી સરકારી યોજનાની અમલીકરણની વ્યવસ્થા અને વહીવટ કેવો હોય છે. તે સમજવા માટે આ ઘટના પુરતી છે.