આજે બદલાતી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકો વિવિધ રોગોનો શિકાર બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જ્યાં પહેલા મોટી ઉંમરના લોકો હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરતા હતા તો બીજી તરફ આજના સમયમાં નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાર્ટ એટેકની સાથે, પેનિક એટેકની સમસ્યાઓ પણ વધી રહી છે. નિષ્ણાતોના મતે પેનિક એટેક હાર્ટ એટેક જેટલો જ ખતરનાક છે. ઘણી વખત લોકોને હાર્ટ એટેક અને પેનિક એટેક બંને સમાન લાગે છે. જેના કારણે દર્દી સમજી શકતો નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. જો તમે પણ બંને વચ્ચેનો અંતર શોધી શકતા નથી, તો ચાલો જાણીએ કે હાર્ટ એટેક અને પેનિક એટેકમાં શું અંતર છે.
હાર્ટ એટેક શું છે?
જ્યારે માનવ હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ આવે છે અથવા ધમનીઓ 100% બ્લોક થઈ જાય છે, તે સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. હૃદયરોગના હુમલાના આગમન પહેલાં વ્યક્તિમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાય છે. આ પૈકી, છાતીમાં દુઃખાવો અથવા છાતીમાં ભારેપણાંની લાગણી એ સૌથી સામાન્ય લક્ષણ છે. આ સિવાય શ્વાસ ચડવો, પરસેવો થવો કે ઉલ્ટી થવી એ સામાન્ય લક્ષણો છે. આ લક્ષણો તરત જ અથવા થોડા કલાકો પછી દેખાય છે.
પેનિક એટેક શું છે?
નિષ્ણાતોના મતે, પેનિક એટેક એ એક પ્રકારની એંગ્ઝાઇટી અથવા ચિંતા જ હોય છે, જે ખૂબ ગંભીર હોવા સાથે અચાનક વિકસિત થાય છે. પેનિક એટેક દરમિયાન હૃદયના ધબકારા વધી જાય છે, તેમજ શ્વાસ લેવામાં તકલીફ, માથું ફરવું અને શરીર ધ્રૂજવું વગેરે લક્ષણો વિકસિત થાય છે.
હાર્ટ એટેક અને પેનિક એટેકના સામાન્ય લક્ષણો
રિપોર્ટ અનુસાર, યુકેના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે હાર્ટ એટેક અને પેનિક એટેક બંનેમાં છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો જેવા લક્ષણો જોવા મળે છે.
હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો અંતર
બ્રિટનના આરોગ્ય નિષ્ણાતોએ તેમના રિપોર્ટમાં મુખ્ય અંતર જણાવ્યો છે કે પેનિક એટેક કોઈપણ સમયે આવી શકે છે, પછી ભલે તમે આરામ કરી રહ્યાં હોવ અથવા તમે સૂઈ રહ્યાં હોવ. જ્યારે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે તમે વધારે કામ કરતા હોવ અને હાર્ટ એટેક માત્ર છાતી સુધી મર્યાદિત નથી રહેતો, પરંતુ ઘણા લોકોને આ દર્દ હાથ અને ગરદન સુધી પહોંચે છે.
હાર્ટ એટેક અને પેનિક એટેકથી આ રીતે કરો બચાવ
જો તમને અચાનક છાતીમાં દુઃખાવો થતો હોય, જે 2થી 3 મિનિટથી વધુ સમય સુધી ચાલે છે અને દુઃખાવો અન્ય ભાગમાં ફેલાઈ રહ્યો છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હાર્ટ એટેકના કિસ્સામાં કોઈપણ પ્રકારનો વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમે વારંવાર પેનિક એટેકમાંથી પસાર થાવ છો, તો યોગ્ય સારવાર લો, લક્ષણોને નિયંત્રિત કરવા માટે કેટલીક દવા આપવામાં આવી શકે છે.