સુશાંત સિંહ રાજપૂત કેસમાં દર થોડા દિવસોમાં નવા-નવા રાજ સામે આવે છે. સુશાંત સાથે સંકળાયેલા ઘણા લોકો હવે ખુલીને સામે આવી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેની માતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નીતા મોહિન્દ્રાએ દાવો કર્યો છે કે સુશાંત એક એપ બનાવી રહ્યો હતો, જેના દ્વારા કોરોના વાયરસના ચેપને સરળતાથી શોધી શકાય.
સુશાંતની ઓનસ્ક્રીન માતા નીતા મોહિન્દ્રા મુજબ, સુશાંત ખૂબ ક્રિએટિવ હતો. તેમણે રચનાત્મક અને આર્થિક રીતે એક સારું કાર્ય કર્યું હતુ. તે એક કોરોના એપ્લિકેશન પર કામ કરી રહ્યો હતો, જેમાં મોબાઇલમાં શ્વાસ લઈને કોવિડ -19ના ચેપ વિશે શોધી શકાય.
નીતા મુજબ સુશાંત ખૂબ જ દિલદાર વ્યક્તિ હતો. તેને જીવન જીવવામાં રસ હતો. તે આઈઆઈટીમાંથી પાસઆઉટ હતો અને અભિનય માટે એન્જિનિયરિંગની કારકીર્દિ છોડી હતી. છેલ્લે જ્યારે હું સુશાંતને મળી હતી ત્યારે ‘એમ.એસ.ધોની’ની સક્સેસ પાર્ટી યોજાઇ હતી.
નીતાએ કહ્યું કે આ જેવા આશાસ્પદ અભિનેતાનું આ રીતે જવું એ ખરેખર આઘાતજનક ઘટના છે. જો તેની હત્યા કરવામં આવી છે તો તે બહુજ દુખદ છે અને જો તેણે આત્મહત્યા કરી લીધી છે તો તે સમજમાં આવતું નથી, કારણ કે તેની પાસે હજી જીવવા માટે ઘણું હતું.
સુશાંતના મોતના કેસમાં સીબીઆઈએ તપાસ વધુ તીવ્ર બનાવી છે. સુશાંતના હાઉસ કીપર નીરજ સિંહ, કૂક કેશવ, રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની અને હાઉસ મેનેજર દીપેશ સાવંતની અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી છે. રિયા ચક્રવતી અને તેના ભાઈ શોવિકની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે.
સીબીઆઈએ સુશાંત રાજપૂતના 3 મોબાઈલ, લેપટોપ, જે મગમાં જ્યુસ પીધો હતો તેને, સુશાંતના મૃત્યુ સમયે પહેરેલાં કપડાં, ફાંસીમાં વપરાયેલું લીલા રંગનાં કપડાને લઈ તપાસ શરૂ કરી છે. આ સિવાય સીબીઆઈએ ઓટોપ્સી અને ફોરેન્સિક રિપોર્ટ, સુશાંતની ડાયરી, 56 સાક્ષીઓના નિવેદનની નકલ પણ કબજે કરી છે.
સીબીઆઈએ મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખેની પણ પૂછપરછ કરી હતી. રિયા ચક્રવતીના કોલ હિસ્ટ્રીમાં ખુલાસો થયો છે કે સુશાંતના મોતની તપાસ દરમિયાન રિયા અને અભિષેક ત્રિમુખે ઘણી વાર વાતચીત થઈ હતી. સીબીઆઈની ટીમે આ કેસમાં સામેલ બાંદ્રા પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરી હતી.
બીજી તરફ, ફિલ્મ નિર્માતાઓ સુશાંત સિંહ રાજપૂત પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, ઘણા નિર્માતાઓએ ટાઇટલ રજીસ્ટર્ડ કરાવ્યા છે. રિપોર્ટસમાં પ્રોડ્યુસર એસોસિએશનના સૂત્રોના હવાલેથી જાણવા મળ્યુ છે કે, તેઓને અત્યાર સુધીમાં ‘સુશાંત સિંહ રાજપૂત-બાયોગ્રાફી’, ‘સુશાંત’ અને ‘ધ અનસોલ્વ્ડ મર્ડર મિસ્ટ્રી-રાજપૂત’ જેવા ટાઇટલ માટે રિક્વેસ્ટ મળી છે.