રામાયણમાં હનુમાનની ભૂમિકા નિભાવી અમર થઈ ગયા દારા સિંહ, અંતિમ દિવસમાં વ્યક્ત કરી હતી આ ઈચ્છા
મુંબઇઃ લોકોની માંગ પર લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર એકવાર ફરી રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે. લોકો ઉત્સાહ સાથે તેને જોઇ રહ્યા છે. રામાયણની ટીઆરપી રેટિંગ્સમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 33 વર્ષ અગાઉ બનેલી આ સીરિયલના તમામ કલાકારોએ પોતાની ભૂમિકા ખૂબ સરસ રીતે નિભાવી હતી. આ શોમાં હનુમાનજીની ભૂમિકા એક્ટર દારા સિંહે નિભાવી હતી. હાલમાં દારા સિંહ આપણી વચ્ચે નથી પરંતુ તેમની એક્ટિંગના કારણે આજે પણ લોકોના દિલમાં જીવિત છે.
વર્ષ 2012માં દારા સિંહનું 83 વર્ષની વયે નિધન થયું હતું. પહેલવાનથી પોતાના કરિયરની શરૂઆત કરનારા દારા સિંહે એક્ટર, નિર્દેશક અને નિર્માતા તરીકે કામ કર્યું છે. વર્ષ 1976માં આવેલી ફિલ્મ બજરંગબલીમાં તેમણે હનુમાનજીની ભૂમિકા નિભાવી હતી. બાદમાં તે રામાનંદ સાગરની રામાયણમાં હનુમાન બન્યા હતા.
મરતા અગાઉ દારા સિંહની ઇચ્છા રામાયણ જોવાની હતી. આ વાતનો ખુલાસો તેમના દીકરા વિંદુ દારા સિંહે કર્યો હતો. બોલિવૂડ લાઇફ અનુસાર, વિંદૂએ કહ્યું હતું કે, તેમના પિતા પોતાના અંતિમ દિવસોમાં રામાયણ જોવા માંગતા હતા.
વિંદૂએ કહ્યુ કે, પિતાજીના અંતિમ દિવસોમાં મેં તેમને પૂછ્યું હતું કે, તમારી કોઇ એવી ઇચ્છા છે કે હજુ સુધી પુરી થઇ ના હોય. અનેકવાર પૂછવા પર તેમણે કહ્યું કે, રામાયણ જોવી છે. હું એકવાર ફરી તેને જોવા માંગું છું. તે ઉત્સાહ સાથે જોયા કરતા હતા અને એક દિવસમાં પાંચ એપિસોડ્સ જોઇ લેતા હતા. રામાયણ જોવી તેમની અંતિમ ઇચ્છા હતી.
વિંદૂએ કહ્યુ કે, પપ્પાએ પોતાની એક્ટિંગ કરિયરમાં ત્રણ વખત હનુમાનની ભૂમિકા નિભાવી હતી. પ્રથમવાર તેમણે વર્ષ 1976માં રીલિઝ થયેલી ફિલ્મ બજરંગબલીમાં હનુમાનની ભૂમિકા નિભાવી હતી. બાદમાં તે રામાનંદ સાગરની રામાયણમાં હનુમાન બન્યા. ત્રીજી વખત તે બીઆર ચોપરાના ટીવી શો મહાભારતમાં પણ હનુમાનની ભૂમિકામા જોવા મળ્યા હતા. બાદમાં અનેક એક્ટરે હનુમાનની ભૂમિકા નિભાવી પરંતુ તેમના જેવી એક્ટિંગ કોઇ કરી શક્યું નહી.