કાનપુરઃ શહેરથી ગુમ થનારી એક યુવતી અને તેની માસીએ સમલૈંગિક લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. ચકેરીથી ગુમ થનારી યુવતીએ પોતાની ભાણી સાથે લગ્ન કરી લીધા અને પરિવારજનોના વિરોધ પર બંને મિત્ર સાથે ઘર છોડી ભાગી ગઈ હતી. પોલીસે ત્રણેય યુવતીઓને ગાઝિયાબાદથી શોધી કાઢી ત્યારે સંપૂર્ણ ઘટના સામે આવી હતી. જે પછી પોલીસે યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.
ચકેરી નિવાસી 19 વર્ષીય યુવતી 2 સપ્ટેમ્બરના પોતાના ઘરેથી ગુમ થઈ હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા આ મામલે તપાસ શરૂ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે જે દિવસે યુવતી પોતાના ઘરેથી ભાગી ત્યારે જ તેની લખનૌમાં રહેતી 18 વર્ષીય ભાણી પણ ભાગી હતી. આ દરમિયાન પોલીસને શંકા ગઈ તેઓ બંને સાથે જ ભાગી હોવી જોઈએ. પોલીસે બંનેની શોધ માટે સર્વિલાન્સની મદદ લેતા તેમનું લોકેશન ગાઝિયાબાદમાંથી મળી આવ્યું હતું.
પોલીસ ગુરુવારે ગાઝિયાબાદ પહોંચી તો બંનેની સાથે અનવરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારી એક યુવતી પણ મળી હતી. જે પછી ગાઝિયાબાદ પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, અનવરગંજની યુવતી સાથે તો તેની ફેસબુક થકી મિત્રતા થઈ હતી. જેની મદદથી તેઓ ત્રણેય પોતપોતાના ઘરેથી ભાગી હતી.
જે પછી તેઓ ગાઝિયાબાદમાં એક ઘર ભાડે રાખીને રહેતી હતી. પોલીસ સમક્ષ માસી તથા ભાણીએ દાવો કર્યો કે તેમણે જાન્યુઆરીમાં લગ્ન કરી લીધા હતા. એસઆઈ રવિ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ત્રણેય યુવતીઓના પરિવારજનોને બોલાવી વાત કરવામા આવી રહી છે. જે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
ભારતમાં સમલૈંગિક લગ્નની સ્થિતિ
દેશના ઘણા રાજ્યોમાંથી સમલૈંગિક લગ્નની ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ તેને કાયદાકીય માન્યતા મળી નથી. સમાજને આ પ્રકારના લોકોને માન્યતા નથી. જોકે દિલ્હીમાં આવા લગ્નોને માન્યતા આપવા મામલે ઘણીવાર પ્રદર્શન થઈ ચૂક્યા છે. જ્યારે વિશ્વના લગભગ 29 દેશોમાં સમલૈંગિક લગ્ન માટે મંજૂરી આપવામા આવી ચૂકી છે, આ લિસ્ટમાં તાજેતરમાં જ કોસ્ટારિકાનું નામ જોડાયું છે.