કોરોનાથી ફેલાયેલી બીમારીનું સૌથી ડરાવનું સત્ય છે મૃત્યુ. એવું મૃત્યુ જેનાથી ખુદ પરિવારજનો અંતિમ સંસ્કાર કરવા તૈયાર થતાં નથી. સ્નેહિજનના મૃતદેહની નજીક આવવા પણ તૈયાર નથી. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારજનો પોતાના ઘરના સભ્યના અંતિમ સંસ્કાર કરવા નજીક આવતા નથી. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેઓ પરાયાને પોતાના સમજી કોરોના સંક્રમણનો ભય હોવા છતાં મૃતદેહની નજીક જઈ રહ્યાં છે અને તેને કાંધ અને અગ્નિદાહ પણ આપી રહ્યાં છે. એટલું જ નહીં અગ્નિ સંસ્કારનો જે કાંઇ પણ ખર્ચ થાય છે તે અન્ય લોકો ભોગવી રહ્યાં છે. આવા ત્રણ સેવાભાવીની વાત સામે આવી છે.
પ્રદિપ વર્મા જેઓ ઇંદોર મુક્તિધામમાં મૃતદેહના નિશુલ્ક અંતિમ સંસ્કાર કરી રહ્યાં છે. આમ તો તેઓ સરાફા વેપારી છે પરંતુ 22 માર્ચથી તેઓ મુક્તિધામમાં રોજ ડ્યુટી કરી રહ્યાં છે. સવારે 9 વાગ્યાથી રાતે 6 વાગ્યા સુધી તેઓ મુક્તિધામમાં જ રહે છે. તેઓનું કહેવું છે કે લાવારિસ લાશને હું ખુદ અગ્નિ આપું છું. કોરોના સંક્રમિત મૃતદેહ પણ આવી રહ્યાં છે જેઓને હું અગ્નિદાહ આપું છું. વર્મા છેલ્લા 8 વર્ષથી મુક્તિધામમાં સેવા આપી રહ્યાં છે. લાવારિસ મૃતદેહના અંતિમ સંસ્કારનો ખર્ચ તેઓ જાતે ભોગવે છે.
એક મૃતદેહ સળગાવવામાં અંદાજે 1700થી 1800 રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં અઢી ક્વિંટલ લાકડા, 30 ડંડાની જરૂર પડે છે. એમવાયથી મુક્તિધામ સુધી મૃતદેહને લાવવામાં 250 રૂપિયાનો ખર્ચ થાય છે. દર મહિને 10-12 હજાર રૂપિયા આ કામમાં ખર્ચ થાય છે. પ્રદિપનું કહેવું છે કે મારી સરાફાની દુકાન છે. સામાન્ય દિવસોમાં દુકાને જ રહું છું અને એક ટાઇમ મુક્તિધામમાં રહું છું. પરંતુ કોરોના વાયરસના કારણે દૂકાન બંધ છે આથી સંપૂર્ણ સમય મુક્તિધામની સેવામાં આપું છું. પ્રદિપે જણાવ્યું કે મને નગર નિગમે પીપીઇ કિટી આપી છે જેને પહેરીને સંપૂર્ણ સુરક્ષા સાથે સેવાકાર્ય કરી રહ્યો છું. મારા પરિવારજનો તો ઘરની બહાર નીકળવાની પણ મનાઇ કરી રહ્યાં છે પરંતુ ઘરની બહાર નહીં નીકળું તો સેવા કેમ કરીશ.
આવી જ જવાબદારી જયપુરમાં વિષ્ણુ ગર્જર નિભાવી રહ્યાં છે. છેલ્લા 7 વર્ષથી મુર્દાઘરમાં નોકરી કરતાં વિષ્ણુ છેલ્લા 28 દિવસથી ઘરે ગયા નથી. તેઓનું કહેવું છે કે અમે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરીએ છીએ અને અંતિમ સંસ્કાર પણ કરીએ છીએ. અત્યારે માત્ર એવા જ શબના અંતિમ સંસ્કાર કરીએ છીએ જે કોરોના પોઝિટિવ હોય. નેગેટિવ મૃતદેહને પરિવારજનો લઇ જાય છે. અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં શબની સાથે કોઇ હોતું નથી. વિષ્ણુનું કહેવું છે કે કોરોનાથી બચવા માટે હું પીપીઇ કિટ પહેરું છું. મારે પરિવારમાં પત્ની, 6 મહિનાની પુત્રી અને એક ત્રણ વર્ષનો પુત્ર છે. પરિવારમાં કોઇને કોરોના ન થયા એ માટે લોજમાં જ એક રૂમ રાખ્યો છે જ્યાં હું રહું છું. કોર્પોરેશન મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાથી લઇને અંતિમ સંસ્કાર કરવાસુધીના 500 રૂપિયા આપે છે.
તો મુંબઇમાં શબને દફનાવવાનું કામ શોએબ ખતીબ પોતાની ટીમ સાથે કરે છે. તેઓનું કહેવું છે કે અમારી 35 લોકોની ટીમ છે જે શબને હોસ્પિટલથી લાવવાથી લઇ દફનાવવા સુધીની કામગીરી કરે છે. શોએબનું કહેવું છે કે અમે તો 24 કલાક આ જ કામગીરીમાં જોડાયેલા છીએ. દિવસ જ નહીં રાતે પણ શબને દફનાવીએ છીએ. સુરક્ષાના હેતુસર અમે પીપીઇ કિટ પહેરીએ છીએ. સેનેટાઇઝર સાથે રાખીએ છીએ તેમ છતા ખતરો તો હોય જ છે. જામા મસ્જિદ ઓફ બોમ્બે ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર સેવા ફ્રીમાં આપવામાં આવી રહી છે. આ માટે લોકો પાસેથી પૈસા વસૂલવામાં આવતા નથી.