ચંદીગઢઃ વર્ષ 2020માં કુદરત જાણે દુનિયાથી નારાજ હોય તેવી ઘટનાઓ બની રહી છે. દુનિયામાં એવી-એવી અણધારી ઘટના બની રહી છે કે લોકોમાં સતત ભય વધતો જાય છે. એક બાજુ કોરોનાએ દુનિયાને બાનમાં લીધી છે. તો બીજી બાજુ વાંરવાર આવતા ભૂકંપના આંચકા પણ ગભરાટનો માહોલ પેદા કરે છે.
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં પણ કંઇક આવી જ અણધારી ઘટના બની જેના કારણે લોકો અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યાં છે. અહીં અચાનક 800 મીટર જેટલી જમીન ફાટી ગઇ. ભૂકંપના હળવા આંચકા બાદ આ જમીનનું અચાનક ફાટવું કોઇ મોટી કુદરતી આફતનો સંકેત તો નથી ને? આ સવાલ અહીંના સરપંચથી માંડીને દરેકને સતાવી રહ્યો છે.
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ગામ ખેડી(કાંટી)માં અચાનક જમીન ફાટી ગઇ. અઠવાડિયા પહેલા આ આવેલ ભૂકંપના કારણે ઝીણી ઝીણી તિરાડો પડી ગઇ હતી. બે દિવસના વરસાદ બાદ આ તિરાડ મોટી થઇ ગઇ. આ કારણે અંદાજે 800 મીટર જેટલી જમીન ફાટી ગઇ. આ ખાડાની લંબાઇ 800 મીટર છે. તો પહોળાઇ 1.5 મીટર છે. જમીન ફાટવાની સૂચના મળતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું. પંચાયત વિભાગના સ્થાનિય અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યાં અને નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની માહિતી ઉચ્ચ અધિકારી અને ભૂ-વૈજ્ઞાનિકોને આપી છે.
5થી 6 ફૂટ ઊંડી તિરાડ પડી ગઇઃ ખેડી ગામના સરપંચ નરેન્દ્રસિંહે જણાવ્યું કે, “ગામના બની જંગલ વિસ્તારમાં આ રીતે અચાનક જમીનમાં તિરાડ પડી ગઇ છે. તિરાડની ઊંડાઇ 5થી6 ફૂટની છે. જો કે વરસાદ બાદ આ જગ્યાએ માટી ભરી દેવાઇ છે. આ સ્થાનની જમીને જોઇને એવું લાગે છે. કે તેની આસપાસની જમીન પણ ઉંડી ધસી રહી હોય, આ પ્રાકૃતિક આફત કોઇ મોટી આફતનો સંકેત તો નથી ને. એ વિશે તો સંબંધિત નિષ્ણાત જ સ્પષ્ટતા કરી શકે. પરંતુ અમે ગામના લોકોને એલર્ટ કરી દીધા છે કે આ તિરાડની આસપાસ ન જાય. શનિવારે (11 જુલાઈ) પંચાયત વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.”